જિજ્ઞેશ મેવાણી 'PM વિરુદ્ધ ટ્વિટ' મામલે ન્યાયિક કસ્ટડીમાં, જામીન અરજી પર આજે સુનાવણી
જામીન અરજી સહિત જિજ્ઞેશ મેવાણીના કેસમાં સુનાવણી સોમવારે થશે.
કોકરાઝારઃ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલિસ દ્વારા પ્રધાનમંત્રી વિરુદ્ધ ટ્વિટ કરવા બાબતે બુધવારે ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આસામના કોકરાઝારની એક અદાલતે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને રવિવારે એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. આ માહિતી પોલિસના એક અધિકારીએ આપી. અધિકારીના જણાવ્યા મુજબ જામીન અરજી સહિત મેવાણીના કેસમાં સુનાવણી સોમવારે થશે. કોકરાઝારના અધિક પોલિસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરે પત્રકારોને જણાવ્યુ કે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો.
તમને જણાવી દઈએ કે જિજ્ઞેશ મેવાણીની ત્રણ દિવસની પોલિસ કસ્ટડી ખતમ થયા બાદ રવિવારે મોડી સાંજે અદાલતમાં હાજર કરવામાં આવ્યા. આ કેસમાં બે કલાકથી વધુ સમય સુધી રાતે સાડા નવ વાગ્યા સુધી ઉલટતપાસ ચાલી. કોકરાઝારના અધિક પોલિસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરના જણાવ્યા મુજબ સોમવારે સવારે એક વાર ફરીથી જિજ્ઞેશ મેવાણીને અદાલતમાં હાજર કરવામાં આવશે જ્યાં જામીન અરજી સહિત તેમના કેસમાં સુનાવણી થશે. ગળામાં અસમિયા ગમછો લપેટેલા મેવાણીને સીજેએમના આવાસથી કોકરાઝાર જેલમાં લઈ જવામાં આવ્યા. કેસની સુનાવણી સીજેએમના આવાસ પર થઈ. આ દરમિયાન કોંગ્રેસે અહીં મેવાણીના સમર્થનમાં ધરણા-પ્રદર્શન કર્યા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આસામ પોલિસ દ્વારા જિજ્ઞેશ મેવાણીની ધરપકડને 'અલોકતાંત્રિક' અને 'ગેરબંધારણીય' ગણાવી હતી. કોંગ્રેસ દ્વારા સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને પ્રધાનમંત્રી વિરુદ્ધ તેમના કથિત ટ્વિટને લઈને કોકરાઝાર પોલિસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો અને આઈટી અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ બુધવારે રાતે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈર મુજબ જિજ્ઞેશ મેવાણીએ કથિત રીતે એક ટ્વિટ કર્યુ હતુ જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'. જિજ્ઞેશ મેવાણીને ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં હાજર કરવામાં આવ્યા. અદાલતે તેમને ત્રણ દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.