જીજ્ઞેશ મેવાણીએ દારૂના અડ્ડાના વિરોધમાં કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવો
દલિત નેતા અને વડગામ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક્સન મોડમાં, દારૂના અડ્ડાના વિરોધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો.
વિધાનસભાની ચૂંટણી પહેલા ઓબીસી લીડર અલ્પેશ ઠાકોરે રાજ્યમાં ચાલતા દારૂના વેચાણ અને સરકારની આ બાબતે નિષ્ક્રિયતા ને લઈને આંદોલન શરૂ કરેલું ત્યારબાદ આ આંદોલનની અસર એ હદે થઈ કે સરકારે રાતોરાત દારૂ બંદીના કાયદામાં સુધારો કરવો પડ્યો હતો અને અલ્પેશ ઠાકોરની લોકપ્રિયતા એ હદે વધી ગઈ કે તેને કોંગ્રેસ પક્ષમાંથી વાવની અતિ મહત્વની ગણાતી વિધાનસભાની બેઠકમાંથી ટિકિટ મળી અને ધારાસભ્ય તરીકે જીત પણ મેળવી. બીજી તરફ હવે અલ્પેશ ઠાકોર બાદ વડગામ વિધાનસભા ના ધારાસભ્ય અને દલિત લીડર જીજ્ઞેશ મેવાણી પણ આ મુદ્દે સરકાર માટે માથાનો દુખાવો બની શકે તેમ છે.
બુધવારે રાતના સમયે અચાનક એક સાથે બે હજાર સમર્થકો સાથે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનનો મેવાણીએ ઘેરાવો કર્યો હતો. તેમજ માંગણી કરી હતી કે આ વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા તાત્કાલિક બંધ કરવામાં આવે નહિતર લોકો ઘુસીને અડ્ડામાં તોડફોડ કરશે અને કાયદો હાથમાં લેશે. આ દરમિયાન ઉચ્ચ. પોલીસ અધિકારીઓ પણ ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જીજ્ઞેશ મેવાણીને ખાતરી આપી હતી કે પોલીસ દરેક દારૂજુગારના અડ્ડા બંધ કરાવશે. બીજી તરફ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આ પ્રશ્ન માત્ર ગોમતીપુરનો નથી પણ સમગ્ર અમદાવાદનો છે. જો પોલીસ તેનું કામ નહીં કરે તો આગામી સમયમાં પોલીસ કમિશ્નર ઓફિસનો પણ ઘેરાવો કરવામાં આવશે.