Breaking: જીગ્નેશ મેવાણી - રેશ્મા પટેલને કોર્ટે ફટકારી સજા, 2017નો છે મામલો
ગુજરાતના મહેસાણાના A ડિવીઝનમાં વર્ષ 2017માં આઝાદી કૂચની રેલી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરીયાદમાં મહેસાણા કોર્ટે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને NCPની ફાયર બ્રાન્ડ નેતા રેશ્મા પટેલ સહિત ત
ગુજરાતના મહેસાણાના A ડિવીઝનમાં વર્ષ 2017માં આઝાદી કૂચની રેલી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરીયાદમાં મહેસાણા કોર્ટે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને NCPની ફાયર બ્રાન્ડ નેતા રેશ્મા પટેલ સહિત તમામ 12 આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે.
જીગ્નેશ મેવાણી - રેશ્મા પટેલ સહિત 12 લોકોને કોર્ટ દ્વારા ત્રણ મહિનાની જેલ અને હજાર - હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે NCPનેતા રેશ્મા પટેલે જણાવ્યું કે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ. બીજેપી પર આરોપ લગાવતા રેશ્મા પટેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કાયદાનો ખોટો ડર બતાવીને અમારો અવાજ દબાવી શકશે નહીં.
મહેસાણામાં 12 જુલાઈ 2017માં પરવાનગી વિના રેલી કાઢવાના ગુનામાં સ્થાનિક કોર્ટે સજા ફટકારી છે. આ મામલે કુલ 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે 12 લોકો સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તમામ લોકોને કસૂરવાર ઠેરવીને સજાનું એલાન કર્યું છે. 2017માં સોમનાથ ચોકથી રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણી ઉપરાંત કન્હૈયા કુમારે રેલી કાઢી હતી, પરંતુ તેના માટે પોલીસે કોઈ મંજૂરી નહોતી આપી. જેથી તમામ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું.
ઉનાકાંડની પહેલી વરસી પર મહેસાણામાં આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણી તેમજ કન્હૈયા કુમાર સહિત 120 જેટલા લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ ચારેક કલાક સુધી ચાલ્યો હતો, જેમાં યોગેન્દ્ર યાદવે પણ ભાષણ કર્યું હતું. પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને તેમને પાંચ કલાક કસ્ટડીમાં રાખીને છોડી દેવાયા હતા. ત્યારબાદ આઈપીસીની કલમ 143 હેઠળ મહેસાણા સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરુદ્ધ ગેરકાયદે રીતે ભેગા થવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું આયોજન કરાયું ત્યારે જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હતા, પરંતુ તેઓ કોઈ પક્ષ સાથે સંકળાયેલા નહોતા. હાલ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જ્યારે અન્ય દોષિત રેશ્મા પટેલ પણ એનસીપી સાથે જોડાણ ધરાવે છે. કન્હૈયા કુમાર ડાબેરી પક્ષની ટિકિટ પર 2019ની લોકસભા ચૂંટણી લડી તેમાં હારી ચૂક્યા છે, અને હવે તેઓ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જિજ્ઞેશ મેવાણી સામે તાજેતરમાં જ અસમમાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેમને લોકઅપમાં રહેવાનો પણ વારો આવ્યો હતો. હાલ તેઓ આ બંને કેસમાં જામીન પર મુક્ત છે. જેમાં એક કેસ પીએમ મોદી વિરુદ્ધ ભડકાઉ ટ્વીટ કરવાનો જ્યારે બીજો કેસ મહિલા પોલીસકર્મી પર હુમલો કરવા બદલ દાખલ કરવામાં આવ્યો હતો.