રાજકોટઃ મજૂરોએ હુમલો કરતા પત્રકાર લોહીલૂહાણ, 29 આરોપીની ધરપકડ
રાજકોટઃ મજૂરોએ હુમલો કરતા પત્રકાર લોહીલૂહાણ, 29 આરોપીની ધરપકડ
રાજકોટઃ રાજકોટના શાપર-વેરાવળ નજીક આજે શ્રમિકોની વતન જવા માટે કોઈ વ્યવસ્થા થઈ ના હોવાના મેસેજ વાયરલ થયા હતા જેને લઈ શ્રમિકોનુ ટોળા નેશનલ હાઈલ હાઈવે પર ઉતરી આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનું કવરેજ કરવા પહોંચેલા પત્રકાર હાર્દિક જોશી પર પણ ટોળાએ હુમલો કરી દીધો હતો. ધોકાથી ઢોર માર મારતા હાર્દિક લોહીલૂહાણ બન્યો હતો. ત્યારે ત્યાં હાજર પોલીસ માત્ર તમાશો જોતી રહી હતી. જો કે બાદમાં 29 શખ્સોની ધરપકડ કરી લેવામા આવી છે.
મીડિયા કર્મચારીને માર મારતી વખતે એક પરપ્રાંતિય મજૂર અપશબ્દો બોલતો અને માર મારવા માટે લોકોને ઉશ્કેરતો નજરે ચઢી રહ્યો છે. હાર્દિક પાસેથી કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. ઉશ્કેરનાર અને વીડિયો બનાવનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને વખોડી કાઢી હતી અને રેન્જ આઈજીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
આઈજી રાજકોટ સંદિપસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આજરોજ શાપર-વેરાવળની ત્રણ શ્રમિક સ્પેશિયલ ટ્રેન જવાની હતી જેના માટે મજૂરોએ રજિસ્ટ્રેશન પણ કરાવેલ હતું, તેમાં બે ટ્રેન બિહાર અને એક યૂપી જવાની હતી, કોઈ કારણોસર ટ્રેનના સમયમાં ફેરફાર થયો હતો. ગેરસમજણને પગલે કેટલાક અસામાજિક તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા, દરમિયાન પત્રકાર ત્યાંથી પસાર થતી વખતે શૂટિંગ કરવાનો પ્રયત્ન કરતાં શ્રમિકોએ તેને માર માર્યો હતો અને કેમેરાની લૂંટ પણ ચલાવી હતી. વધુમાં આઈજીએ કહ્યું 29 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બીજા આરોપીઓની પણ ઓળખ કરવાની કામગીરી ચાલુ છે.
આરોપીઓ પર કલમ 325, 337, 338 પથ્થરમારાની કમલ લગાવવામાં આવી છે, 307 જીવથી મારવાની કોશિશની કલમ લગાડવામાં આવી છે, આ ઉપરાંત 395 અને મિલકતને નુકસાન સંબધિત કલમ લગાડી તેમના પર કેસ નોંધી લેવામાં આવ્યો છે.
ઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો