ગિરનારની લીલી પરિક્રમા શરૂ, પર્યાવરણની જાળવણીને મહત્વ
આજથી ગિરનારમાં થયો લીલી પરિક્રમાનો પ્રારંભ, પર્યાવરણની જાળવણીનું મહત્વ અગ્રસ્થાને. વધુ વાંચો અહીં
ગિરનારની લીલી પરિક્રમા કરવી તે જીવનનો મોટો લ્હાવો ગણાય છે. મંગળવારે દેવ ઊઠી એકાદશીથી શરૂ થયેલી આ યાત્રા 36 કિલોમીટરના રૂટ સુધી વિસ્તરેલી છે અને દેવ દિવાળી એટલે કે પૂનમના દિવસે પૂર્ણ થાય છે. લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમાનો ભાગ બનીને ધન્યતા અનુભવતા હોય છે. દેવ ઊઠી એકાદશીની મધરાતથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમામાં કરવા માટે શ્રદ્ધાળુઓ તત્પર રહેતા હોય છે, ત્યારે આ વખતે શનિ રવિની રજાઓ આવતા શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા વહેલી આરંભી દીધી હતી. હાલમાં ગિરનાર તળેટી અને આસપાસનો વિસ્તાર શ્રદ્ધાળુઓથી ઉભરાવા માંડ્યો હતો.
ગિરનાર અને તેના જંગલોનું પર્યાવરણ સચવાઈ રહે તે માટે પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા લોકો પાસેથી પ્લાસ્ટિક બેગ લઇને તેમને કાગળની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભજન, ભક્તિ અને ભોજનના સંગમ સાથે પરિક્રમાવાસીઓનો મહેરામણ અત્યારે ગિરનાર તરફ વહી રહ્યો છે, પ્રકૃતિ પ્રેમી ડોક્ટર ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ પરિક્રમાએ આવતા લોકોમાં ત્રણ લાખ જેટલી થેલીઓ વિતરણ કરવાનું આયોજન કર્યુ્ છે. જેથી જંગલનું તથા જંગલમાં વસતી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જળવાઈ રહે. જોકે શ્રદ્ધાળુઓ જે રીતે ટ્રેનમા ખીચોખીચ બેસીને તથા ટ્રેન ઉપર બેસીને જે રીતે જોખણી મુસાફરી કરી રહ્યા છે. તે જોતા કેટલાક નાગરિકોએ માંગણી કરી હતી કે, તંત્રએ આ તરફ ધ્યાન આપવું જોઈએ અને ગિરનાર પહોંચવા અન્ય વ્યવસ્થા પણ કરવી જોઈએ.