રાજકોટ, મોરબી, બોટાદમાં ફિલ્મ પદ્માવતની રીલીઝનો વિરોધ
મોરબીના સિનેમાગૃહોએ પદ્માવત ફિલ્મ રજૂ ના કરવાની વાત ઉચ્ચારી, તો બોટાદ અને રાજકોટમાં કરણી સેનાએ કર્યો વિરોધ. પદ્માવત ફિલ્મને લઇને ગુજરાતમાં થઇ રહેલા વિરોધ અંગે વધુ જાણો
પદ્માવત ફિલ્મનો વિરોધ ગુજરાતમાં હજી યથાવત છે. ભલે સુપ્રીમ કોર્ટે તેને લીલી ઝંડી આપી હોય પરંતુ ગુજરાતમાં આ ફિલ્મના રિલીઝનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેના પગલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સૌને શાંતિ જાળવવા તેમજ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા અપીલ કરી છે. નોંધનીય છે કે, રાજકોટ મોરબીમાં પદ્માવત ફિલ્મ રિલીઝનો વિરોધ થયો હતો. ફિલ્મ પદ્માવતને રિલીઝ થવા પર કોઈ પણ રાજયમાં રોક નહીં લાગવાના સુપ્રીમના આદેશ બાદ હજુ પણ પદ્માવત ફિલ્મનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટના કે.કે.વી હોલથી કિશાનપરા ચોક સુધી બાઇક રેલી યોજી બાદમાં રેસકોર્સ રિંગ રોડ પર મોબાઇલ લાઈટ મારફત ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિરોધના પગલે રાષ્ટ્રીય કરણી સેના રાજકોટના અધ્યક્ષ મૌલિકસિંહ વાઢેર એ જણાવ્યું હતું કે, ફિલ્મને કોઈ પણ સંજોગોમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. હાલ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ દર્શાવવામા આવી રહ્યો છે અને જરૂર પડ્યે ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે.
બોટાદમાં ફિલ્મના વિરોધમાં ટાયરો સળગાવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ પદ્માવત રિલીઝનો વિરોધ કર્યો હતો અને રસ્તા પર આવીને ટોળાએ ટાયરો સળગાવ્યા હતા. પોલીસે આ ઘટનામાં ૫૦ જેટલા લોકોની અટકાયત પણ કરી હતી. વધુમાં મોરબીમાં થિયેટર માલિકો ફિલ્મ રિલીઝ ન કરવા સંમત થયા છે. સુપ્રીમકોર્ટે દ્વારા પરવાનગી અપાયા છતાં રાજપૂત સમાજ, કરણી સેના સહીત વિવિધ સંગઠનો દ્વારા રાણી પદ્માવતની જીવનકથાને કહેવાતી મનઘડત રીતે રજૂ કરવા અંગે હજુ પણ વિરોધ યથાવત છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ મોરબી કરણી સેના ક્ષત્રિય સમાજ અને અન્ય નાગરીકો દ્વારા મોરબીના સિનેમાના માલિકો સંચાલકોને રૂબરૂ મળી જરૂરી સહકાર આપવા વિનંતી કરી હતી. તેના પગલે મોરબીના સિનેમાઘરના માલિકો દ્વારા ક્ષત્રીય સમાજ સહીત વિવિધ સમાજની લાગણી ધ્યાને લઈ મોરબીના સિનેમાઘરોમા પદ્માવત ફિલ્મ રીલીઝ નહીં કરે તેમ જણાવ્યું છે