Gujarat Assembly Election 2022 : જાણો પોરબંદર વિધાનસભા બેઠકનું સમીકરણ, 1995 થી માત્ર બે ઉમેદવારો વચ્ચે જ જંગ
Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ચૂંટણી માટેનું રણશિગું ફૂંકાઇ ગયું છે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ચૂંટણી માટેનું રણશિગું ફૂંકાઇ ગયું છે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સ્ટાર પ્રચારકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સાથે સૌની નજર ગાંધી જન્મભૂમિ પોરબંદર પર રહેશે. પોરબંદર બેઠક પર 1995 થી માત્ર બે ઉમેદવારો વચ્ચે જંગ જામે છે, જ્યારે બાકીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ જાય છે.
2017માં ભાજપને મળી ઓછા માર્જીનથી જીત
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોરબંદર બેઠત જીતી હતી. ભાજપના બાબુભાઈ બોખીરીયાએ તેમના કટ્ટર હરીફ કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને માત્ર 1,855 મતોથી હરાવ્યા હતા.
આ ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સિવાય બાકીના નવ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
2012માં પણ બાબુભાઈ બોખીરીયાએ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને 17,000 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના 6 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
આ અગાઉ 2007 અને 2002માં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી જીત્યા હતા. છેલ્લા ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ બાબુભાઈ બોખીરીયા અને અર્જુન મોઢવાડિયા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
બીજી તરફ 1995 અને 1998માં ભાજપના સીટિંગ એમએલએ બાબુભાઈ બોખીરીયા પોરબંદર બેઠકથી જીત્યા હતા.
આ વખતે પણ બંને દિગ્ગજ વચ્ચે જંગ
ગત ચૂંટણીની જેમ આ વખતે પણ પોરબંદર બેઠક પરથી બંને કટ્ટર હરીફ સામસામે છે. ભાજપે પોતાના વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડિયા ફરી મેદાનમાં છે. આ સીટ પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જેની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.
2017માં NCPની કુતિયાણા બેઠક જીત
પોરબંદર બેઠક પોરબંદર જિલ્લાની બે બેઠકો પૈકીની એક બેઠક છે. કુતિયાણા પોરબંદર જિલ્લાની બીજી બેઠક છે. 2017માં શરદ પવારની NCP કુતિયાણાથી જીતી હતી. કાંધલ જાડેજા કુતિયાણાથી જીત્યા હતા. જોકે, આ વખતે ટિકિટ ન મળવાથી નારાજ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.
15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.
આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું.
ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.