કચ્છ: 13 વર્ષથી લોકોને લૂંટતા તાંત્રિકની પોલ ખુલી
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં તાંત્રિક વિધિના નામે લોકોને લૂંટતા ધૂતારાની પોલીસે પોલ ખોલી.
લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે કહેવતનો સાર્થક કરતો કચ્છનો એક કિસ્સો સામે આવ્યો છે. કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં દોરા-ધાગાના નામે 13 વર્ષથી લોકોને લુંટતા આદિપુરના એક તાંત્રિક ભુવાની પોલ ખુલી ગઈ છે. જનવિજ્ઞાન જાથાના ઓપરેશનમાં બહાર આવેલી આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આ ભુવો લોકોને દુ:ખ અને પીડામાંથી મુક્તિ અપાવવાના નામે રૂ. 500 થી 2500 પડાવતો હતો. પકડાઇ જતાં આખરે ધતિંગલીલા બંધ કરવાની કબૂલાત પણ ભુવાએ કરી હતી.
મળતી માહિતી મુજબ, ભીમાભાઇ જયમલભાઇ રબારી આદિપુરમાં પ્લોટ નં. 106, ડીસી-5 પાસે આવેલા મકાનમાં રહીને છેલ્લા કેટલાક વર્ષોથી તાંત્રિકવિધિ દ્વારા લોકોને દુ:ખૃ-દર્દમાંથી મુક્તિ અપાવવાના નામે છેતરપીંડી આચરતો હતો. જન વિજ્ઞાન જાથાના સંસ્થાના ચેરમેન સહિત કાર્યકરો રહેણાંકી ઘરમાં પહોંચી ગયા હતા. ત્યારે ભુવાના ઘરે તાંત્રિક વિધિ ચાલી રહી હતી અને ભક્તો પણ હાજર હતા. ભૂવો તાંત્રિક વિધિ કરતો હતો, ત્યારે તેની પોલ પકડી પાડ્યો હતો અને ભુવાને આજથી તાંત્રિક વિધિ બંધ કરવાનું લખાણનું પાટીયું પકડાવીને કબૂલાત પણ કરાવી હતી. આ ઓપરેશનમાં આદિપુર પોલીસની ટીમ પણ જોડાઇ હતી. પોલીસે ભુવા સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.