L&T રૂપિયા 2,980 કરોડની સૌથી ઓછી બોલી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોન્ટ્રાક્ટ મેળવશે
ગાંધીનગર, 11 જુલાઇ : નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગુજરાતમાં આવેલા નર્મદા બંધમાં સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં વિશ્વનું સૌથી ઊંચું પુતળું બનાવવાની યોજના સાથે ગજબનો યોગાનુયોગ થયો છે કે બુધવારે તેના માટે ટેન્ડર ખુલ્યા અને ગુરુવારે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં તેના માટે વધારાના રૂપિયા 200 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ તે નેશનલ પ્રોજેક્ટ બની ગયો છે.
બુધવાર 9 જુલાઇના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને જાળવણી માટેની ટેન્ડર બિડ ખોલવામાં આવી હતી. દેશની એન્જીનિયરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની એલ એન્ડ ટીને આ માટેનો કોન્ટ્રાક્ટ મળી શકે એમ છે. કારણ કે રૂપિયા 2,063 કરોડના અંદાજિત પ્રોજેક્ટ સામે એલ એન્ડ ટીએ રૂપિયા 2,980 કરોડની સૌથી ઓછી બોલી બોલી છે.

182 મીટર ઊંચી પ્રતિમાના પ્રોજેક્ટની અમલીકરણ એજન્સી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ - SSNNL)ના મેનેજિંગ ડાયરેક્ટર જે એન સિંહે જણાવ્યું છે કે બજેટમાં આ પ્રોજેક્ટની ફાળવણી યોજના માટે સકારાત્મક બાબત છે. આ સાથે સૌનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ દ્વારા એક રાહત મળે છે કે સરકાર આપણા તરફ ધ્યાન આપી રહી છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના બજેટમાં આ પ્રોજેક્ટ માટે રૂપિયા 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે પણ વર્ષ 2014-15ના બજેટમાં પ્રોજેક્ટ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી કરી છે. જો કે એક નિરાશાજનક બાબત એ છે કે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં 16 રાજ્યો એવા છે જે શૂન્ય ફાળો આપી રહ્યા છે.
આ નિર્માણ માટે વિશ્વભરમાંથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જો કે તેમાં માત્ર બે કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમાથી એક એલ એન્ડ ટી છે. જ્યારે બીજી કંપનીએ રૂપિયા 4100 કરોડની બીડ રજૂ કરી હતી. હવે SSNNL એલ એન્ડ ટીને આ બાબતનો પત્ર પાઠવવાનો વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ ફાળવણીની સરકારી પ્રક્રિયા પૂરી થયા
બાદ એલ એન્ડ ટી ચોમાસા બાદ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.












Click it and Unblock the Notifications
