નકલી લોકો દ્વારા ગુજરાતની વિકૃત સ્ટોરી કહેવડાવી નરેન્દ્ર મોદીને બેઇજ્જત કરવાનો પ્રયાસ
આ તે માત્ર એક કિસ્સો છે, આવા અનેક બ્લોગ છે જેના લેખકોને સત્ય હકીકત શું છે તેનો વ્યવસ્થિત ખ્યાલ હોતો નથી. જેના કારણે તેઓ પોતાના બ્લોગને લોકપ્રિય બનાવવા માટે સરળતાથી ઉપલબ્ધ માહિતી અને જૂના આંકડાઓનો ઉપયોગ કરી આ પ્રકારનું ગેરમાર્ગે દોરનારું લખાણ લખીને લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદી જ્યારે કહે છે કે છેલ્લા 6-7 વર્ષમાં ભારતે તેની ઓળખ ગુમાવી છે ત્યારે તેમાં મોટા ભાગના ભારતીયોની લાગણી પ્રદર્શિત થાય છે. દેશના અર્થતંત્રને સમજવા માટે બધા અર્થશાસ્ત્રીઓ થઇ ના શકે. પણ પ્રશાંત પાંડેએ પોતાની વાતમાં અર્થશાસ્ત્રને સંબંધિત માહિતી આપી છે. આ માહિતી આપણે પ્લાનિંગ કમિશનના જેટા સાથે સરખાવીએ તો દેશમાં જીડીપીનો વૃદ્ધિદર સતત ઘટી રહ્યો છે. વર્ષ 2011-12માં જીડીપીનો વૃદ્ધિદર 6.32 ટકા હતો અને વર્ષ 2013-14માં 4.96 ટકા રહેવાની ધારણા છે. આ જ બાબત સૂચવે છે કે કૃષિ વિકાસ દર પણ અંદાજે 3 ટકા છે.
ભારતની નાણાકીય ખાધ 5.75 ટકા જેટલી ઊંચી છે અને તેમાં ઘટાડો થયો નથી. આ સાથે ફુગાવો પણ સારી સ્થિતિના કોઇ સંકેત આપતો નથી. ભારતની નિકાસ -5.5ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જે વર્ષ 1995-96 બાદ સૌથી નીચી છે. આ તમામ માપદંડો ભારતની કથળી રહેલી આર્થિક સ્થિતિની ચાડી નથી ખાતા?
નરેન્દ્ર મોદીને પડકારતા આ લેખક જાણે પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી જેવી વાત કરી રહ્યા છે. આ બાબતને સ્પષ્ટ કરવી હોય તો સૌથી પહેલા કોઇ પણ બાબતને આંકવા માટે ચોક્કસ માપદંડ હોવા જરૂરી છે. શાળામાં કોઇ વિદ્યાર્થીનું પરફોર્મન્સ જોવું હોય તો તેની પાછલી પરીક્ષાના અને વર્તમાન પરીક્ષાના ગુણની સરખામણી કરીને ક્યાસ મેળવી શકાય છે. પણ એક દેશ, જેના રાજ્યોની ભૌગોલિક, આર્થિક અને સામાજિક બાબતો જુદી છે તેમની વચ્ચે સરખામણી કરવી હોય તો કેવી રીતે કરી શકાય?
આ તો એવું થયું કે શિખર ધવને તેની પહેલી ટેસ્ટમાં ઓછામાં ઓછા બોલમાં સદી ફટકારી એટલે તે સારો બેટ્સમેન અને સચિન તેંદુલકર નબળો બેટ્સમેન છે. આથી જ સીધા બે રાજ્યો વચ્ચેની સરખામણી બિલકુલ અયોગ્ય છે. ખરી સરખામણી રાષ્ટ્રીય સરેરાશ સાથે થવી જોઇએ.
બીજી બાજુ લેખકે જીડીપી ડેટા અંગે પણ ખોટી માહિતી આપી છે. કોઇપણ સુમાહિતગાર વ્યક્તિ સારી રીતે જાણતી હોય છે કે સાદો જીડીપી નહીં પણ જીડીપી વૃદ્ધિદરની ગણતરી રાજ્યના વિકાસને જાણવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. જીડીપી વૃદ્ધિદરની વાત આવે છે તો પ્લાનિંગ કમિશનના આંકડા જણાવે છે કે ગુજરાતમાં વર્ષ 2000-01થી 2010-11 સુધીમાં સરેરાશ જીડીપી વૃદ્ધિદર 10.18 ટકા રહ્યો છે. આ વૃદ્ધિદરમાં ગુજરાતે મહારાષ્ટ્ર, યુપી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને અન્ય રાજ્યોને પાઠળ છોડી દીધા છે.
ગુજરાતીઓ માટે કહેવાય છે કે તેઓ જન્મજાત વેપારી હોય છે. આ હકીકત છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલા વિકાસ અને વેપારવૃદ્ધિને પ્રોત્સાહન આપતી નીતિને પગલે વધારો જોવા મળ્યો છે. આ માટે પર કેપિટા નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટને ધ્યાનમાં લેવી જોઇએ. The Per Capita Net State Domestic Productમાં વર્ષ 2000-01માં ગુજરાતમાં આ આંકડો રૂપિયા 17,228 હતો જે એક દસકામાં વધીને ત્રણગણો એટલે કે રૂપિયા 52,708 થઇ ગયો છે. તમામ રાજ્યોની સરખામણીએ છેલ્લા એક દાયકામાં ગુજરાતે સૌથી વધારે પર કેપિટા આવક નોંધાવી છે. વર્, 2000-01માં રાષ્ટ્રીય સરેરાશ ગુજરાતની નજીક હતી. તે સમયે રાષ્ટ્રીય સરેરાશ રૂપિયા 16,172 હતી. 10 વર્ષમાં ગુજરાતની આવક રાષ્ટ્રીય સરેરાશથી 50 ટકા વધી ગઇ છે.
ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજીને વધુ એક યશકલગી ઉમેરી છે. આ બાબતે પણ અનેક વાતો કરવામાં આવે છે. વાઇબ્રન્ટ સમિટને કારણે છેલ્લા 10 વર્ષમાં અબજો રૂપિયાનું રોકાણ આવ્યું છે. આર્થિક બાબતમાં ગુજરાતને કલંકિત કર્યા બાદ કેટલાક વિઘ્નસંતોષી લોકોએ ગુજરાતને સામાજિક દ્રષ્ટિએ પણ બદનામ કરવાનું શરૂ કર્યું છે.
ગુજરાતને કુપોષણના મુદ્દે બદનામ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે કેગના રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં સૌથી વધારે સુધારો ધરાવતું રાજ્ય છે. કુપોષણની બાબતમાં દેશમાં સૌથી વધારે 32 ટકા સુધારો જોવા મળ્યો છે. ગુજરાત શાળામાંથી અધવચ્ચેથી ઉઠી જવાનું પ્રમાણ પણ ઘટાડવામાં સફળ રહ્યું છે. વર્ષ 2000-01માં આ પ્રમાણ 20.93 ટકા હતું જે વર્ષ 2010-11માં ઘટીને માત્ર 2 ટકા રહી ગયું. ગુજરાતે વર્ષ 2010-11 સુધીમાં 90.3 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડ્યું છે.
બીજી તરફ જોઇએ તો આઝાદીના 65 વર્ષોમાં કોંગ્રેસ અને સત્તામાં આવ્યાને 9 વર્ષ થયા છતાં યુપીએ સરકાર આવો વિકાસ સાધી શકી નથી. ત્યારે ગુજરાતની વિકાસગાથા અને નરેન્દ્ર મોદીની શાખ પર પ્રહારો કરનારા હકીકતોને ધ્યાનમાં લઇને વાત કરે એ યોગ્ય છે.