માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ, CM સાંજે આપશે હાજરી, લાખોની મેદની ઉમટી
રવિવારે રાષ્ટ્રપતિએ માધવપુરમાં 5 દિવસીય મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે.
માધવપુરઃ રવિવારે રાષ્ટ્રપતિએ માધવપુરમાં 5 દિવસીય મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે હાજરી આપવા પહોંચશે. બારસના દિવસે દ્વારકાધીશ પ્રભુના લગ્ન થાય છે. બપોરે 2 વાગે ભગવાનનો પષ ભરાય છે, તિલક કરાય છે અને હારતોરા કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણને રથમાં બેસાડવામાં આવે છે. રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ ભગવાનને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહોત્સવ માટે લાખોની માનવ મેદની ઉમટી
ઢોલ-નગારા, દાંડિયા રાસની રમઝટ, કિર્તન સાથે વાજતે-ગાજતે જાન મેળાના ગ્રાઉન્ડમાં પહોંચશે. મેળામાં ભગવાનનો રથ પૂરજોશમાં દોડાવવામાં આવશે. આગળ પોલિસની જીપ અને જાનૈયાઓથી ઘેરાયેલા રથનુ દ્રશ્ય જોવાલાયક હોય છે. હાલમાં માધવપુરના મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહોત્સવ માટે લાખોની માનવ મેદની ઉમટી રહી છે. મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિવિધ મંડળો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
રુકમણીના મામરેયા કરશે મામેરુ
કડછ ગામના મહેર જ્ઞાતિના લોકો કે જેઓ રુકમણી મામરિયા કહેવાય છે તેઓ નાચતા-કૂદતા, ગુલાલની છોળો ઉડાડતા ઉંટ, ઘોડા લઈને માધવરાય મંદિરે રાજભોગ દર્શનમાં આવશે અને રુકમણી મામેરુ આપી ધજા ચડાવશે. ત્યારબાદ ઉંટ, ઘોડાની કરામતો બતાવશે. 4 વાગે નિજ મંદિરેથી જાન મધુવનમાં શ્રીકૃષ્ણ-રુકમણી લગ્ન માટે જવા રવાના થશે.
માધવપુરનો મેળો દેશની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક એકતાનુ પ્રતીક
તમને જણાવી દઈએ કે વિશ્વવિખ્યાત માધવપુર(ધેડ)ના પૌરાણિક લોકમેળાનુ ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરીને જણાવ્યુ હતુ કે માધવપુરનો મેળો દેશની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક એકતાનુ પ્રતીક છે. આજના ઉત્તર પ્રદેશમાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતને કર્મભૂમિ બનાવી અને રાજકુમારી રુકમણી સાથે લગ્ન કર્યા. લોકમાન્યતા મુજબ માધવપુર ધેડ ગામની જમીન તેમના મિલનની સાક્ષી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દ્વારકાના માધવજી અને અરુણાચલના રુકમણીની ભાષા અને સંસ્કૃતિ અલગ અલગ હોવા છતાં બંનેએ વિવાહ કરીને માધવપુરની ભૂમિને ધન્ય બનાવી છે.