વડોદરા, 10 એપ્રિલ : ભાજપના નેતા અને વડોદરા પાસેની વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બુધવારે નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા સમયે ઉપસ્થિત ન હતા. આ બાબત સૂચવે છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઇ શકે.
તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હતી. ગેરહાજરી પાછળનું કારણ તેમની નારાજગી હોઇ શકે છે. છેલ્લા એક સપ્તાહમાં વાઘોડિયા અને જિલ્લા ભાજપના બદલાયેલા સમીકરણોથી નારાજ થઈ ને તેઓ નથી આવ્યા કે પછી કોઈ બીજું કારણ છે તેને લઈ ચર્ચાએ જોર પકડયું છે.
નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ છતાં એક ધારાસભ્ય તરીકે તેમણે હાજરી આપી ન હતી.
અગાઉ વાધોડિયામાં કોંગ્રેસના દિગ્ગજ જયેશ પટેલનો ભાજપ પ્રવેશ થતાં મધુ શ્રીવાસ્તવ નારાજ હોવાનું મનાય છે. ત્યારે તેઓ ભાજપ સાથે છેડો ફાડી આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. જોકે આ વાતને હજી કોઈ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી.
એટલું જ નહીં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રામસિંહ રાઠવા પણ હાજર રહ્યા હતા. પરંતું વાઘડિયા વિધાનસભા બેઠક નરેન્દ્ર મોદીની વડોદરા લોકસભા બેઠકના વિસ્તારમાં આવતી હોવા છતાં ત્યાંના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા ન હતા. ભાજપના એક આગેવાનના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ ધારાસભ્યના ટેકેદારો અને કાર્યકરોના ટેમ્પા આવ્યા છે.