સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું આદીવાસી વિસ્તારમાં જ નિર્માણ કેમ? વિવિધ સંગઠનો દ્વારા વિરોધનો ઝંઝાવાત
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું આદીવાસી વિસ્તારમાં જ નિર્માણ કેમ?
વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે.. રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે લાગી ગયા છે. 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનોએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 31મી ઓક્ટોબરના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન અપાયું છે. વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોવાના મુદ્દે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે આદિવાસી પ્રદેશના તમામ જિલ્લાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ કારણે કેવડિયા કોલોની અને સુરત આસપાસ દક્ષિણ ગુજરાતમાં લાગેલા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના બેનરો પણ આદિવાસીઓએ ફાડી નાખી વિરોધ દર્શાવ્યો હતો.
સેંકડો આદિવાસી પરિવારો વિસ્થાપિત થવાની શક્યતા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના 72 જેટલાં આદિવાસી ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. તેના કારણે અનેક આદિવાસી પરિવારો રસ્તા પર રઝળતા થઇ ગયા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને નિહાળવા માટે દેશ-વિદેશના સહેલાણીઓ આકર્ષિત થાય તે માટે અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવશે. સહેલાણીઓના રોકાણ માટે ફાઇવ સ્ટાર હોટલ અને પ્રતિમાની આસપાસ આનંદ-પ્રમોદ માટે બાગ બગીચાઓનું નિર્માણ કરવામાં આવશે. તેઓ જે જમીન પર મજા માણશે તેનાં મૂળ માલિક આદિવાસીઓ રસ્તે રઝળતા થઈ જશે. નર્મદા બંધ બન્યાં પછી હજારો આદિવાસી પરિવારો વિસ્થાપિત થઈને પોતાના અસ્તિત્વ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. અનેક સંગઠનો સ્ટેચ્યૂ ઓફ યુનિટી આદિવાસી વિસ્તારમાં નિર્માણ કરવાનો વિરોધ કરી રહ્યા છે.
ટૂરિસ્ટ પોઇન્ટના નામે આદિવાસીઓનો રકાશ
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના સ્થળે દરેક રાજ્યોના ગેસ્ટહાઉસ નિર્માણ કરવામાં આવશે તેના કારણે સેંકડો એકર જમીન બરબાદ થઇ જશે. અનેક આદિવાસી પરિવારોની જમીન લૂંટાઇ જશે અને સેંકડો પરિવારો રસ્તા પર આવી જશે. દરેક રાજ્યોની સાથે-સાથે હવે દરેક ભવનો બનાવવા આ પ્રોજેક્ટની આસપાસ જમીન આપવામાં આવી શકે છે. જેના કારણે, અનેક વૃક્ષોનો નાશ કરવામાં આવશે. જંગલ વિસ્તાર નષ્ટ થઇ શકે છે. આદિવાસીઓના વિસ્તારોમાં વિકાસના નામે ટૂરિસ્ટ પોઇન્ટ બનાવીને આદિવાસીઓને તો આખરે મજૂર બનાવવામાં સરકારને રસ છે.
5500 જેટલા ગામો બંધ પાળી વિરોધ કરશે
આદિવાસી આબાદીને બચાવવા માટે 31 મી ઓક્ટોબરે ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારના 5500 જેટલા ગામો સંપૂર્ણ બંધ પાળીને વિરોધ વ્યક્ત કરશે. જેના માટે આદિવાસી સમાજના અનેક સામાજિક અને રાજકિય સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. આ સંગઠનોએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો વિરોધ કર્યો છે.
વિસ્થાપિતોના સમર્થનમાં ઉતર્યા પૂર્વ સીએમ
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને રાષ્ટ્રીય એકતાનું સ્મારક ગણાવ્યું છે. આ દરમિયાન દેશની અખંડિતતાના માટે સમર્પિત લોકોના ઇતિહાસની ઝાંખી વ્યક્ત કરવા પણ માંગ કરી છે. તો, પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા પણ આદિવાસી વિસ્થાપિત પરિવારોના સમર્થનમાં ઉતર્યા હતા.
‘ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***