ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.
ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
રાજકોટ-મોરબી અકસ્માતમાં 9ના મોત, ચિચિયારોથી ગૂંજી ઉઠ્યો રસ્તો
રાજકોટ - મોરબી રોડ ઉપર ગૌરીદડ ગામની સીમમાં બુધવારે રાત્રે ટ્રક અને ક્રૂઝર સામસામે ભટકાતા 9 લોકોના કરૂણ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેન વડે જીપના બીકા રહેલા ભાગ કાપીને મૃતકોની લોહી તથા માંસથી લથબથ થયેલી લાશોને કાઢવી પડી હતી. રાજકોટના પારેવડી ચોકથી 12 મુસાફરોને લઇને એક ક્રૂઝર મોરબી તરફ જઇ રહી હતી. ત્યારે ગૌરીદડના વળાંક પાસે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રક સાથે આ ક્રૂઝર ધડાકાભેર અથડાઇ હતી. બન્ને વાહનો એટલી બધી સ્પીડમાં હતા કે અડધી ક્રૂઝર ટ્રકના બોનેટ હેઠળ ઘૂસી ગઈ હતી.
ગુજરાત બન્યું અગનભઠ્ઠીઃ અમદાવાદ 46 તો કંડલા 48.8 ડિગ્રી
અમદાવાદ શહેરમાં વધતી ગરમીના કારણે સતત બીજા દિવસે હિટસ્ટ્રોકના 7 કેસ નોંધાયા છે. તેમજ તંત્રએ ગરમીનો પારે 45 ડિગ્રીએ પહોંચતા અચાનક હવામાન ખાતાએ આવનારા 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવું પડ્યુ હતું. અમદાવાદમાં 46.9 ડિગ્રી ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 8.6 ડિગ્રી વધીને 46.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધીને 30.2 ડિગ્રી નોંધાયું હતું.
તાલાળાની પરંપરાગત કોંગ્રેસની બેઠક ભાજપે આંચકી
પાંચ રાજ્યોની મતગણથરીની સાથે આજે ગુજરાતમાં જૂનાગઢમાં તાલાળા બેઠકની પેટાચૂંટણીનું પણ પરિણામ ગણાઈ રહ્યું છે. કોંગ્રેસનાં ધારાસભ્ય જશુભાઇ બારડનાં નિધન બાદ બેઠક ખાલી પડતા 91-તાલાલા વિધાનસભાની એક બેઠકની પેટાચૂંટણી જાહેર થઇ હતી. જેનું સોમવારે મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના આગળ ચાલતા ઉમેદવાર ભગવાનભાઈ બારડને હાર આપીને ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર જીતી ગયા છે.
|
તાલાળાની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ
તાલાળામાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બીજેપી કાર્યકર્તાઓ અને તલાળાના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે વર્ષોથી કોંગ્રેસ આ સીટ પર જીતતું આવ્યું છે.
પદ્મશ્રી લોકગાયિકા દિવાળીબેન ભીલનું થયું અવસાન
પદ્મશ્રી લોકગાયિકા દિવાળીબેન ભીલનું આજે દુખદ અવસાન થયું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ સુપ્રદ્ધિ ગાયિકાના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે જેસલ તોરલથી લઇને અનેક ગુજરાતી ફિલ્મોમાં અને ડાયરામાં પોતાના સૂરલો સૂર ગુંજવનાર દિવાળીબેન હવે આપણી વચ્ચે નથી રહ્યા.
વૈષ્ણવદેવીના પહાડો પર લાગી આગ, હેલિકોપ્ટરની મદદ લેવાઇ
જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવીના ત્રિકુટા પર્વત પર લાગેલી ભીષણ જંગલની આગને શાંત કરવા માટે બુધવારે વાયુસેનાના હેલિકોપ્ટરનો સહારો લેવો પડ્યો. તારાદેવી જંગલમાં લાગેલી આ આગે અનેક વન્ય જીવો અને પ્રાકૃતિક સંપદાને મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચાડ્યું છે.