અમદાવાદ, 2 મે : રહસ્યમ લાગ્યું ને શીર્ષક? તેમાંય Extra-82 શબ્દ તો વધુ રહસ્યમય લાગતો હશે, નહીં? પરંતુ આ Extra-82 શબ્દને જન્મ આપ્યો છે ગુજરાતના મતદારોએ કે જેમણે ગત ગુરુવારે યોજાયેલ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીમાં ભારે મતદાન કર્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મુખ્ય મુકાબલો ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ આ Extra-82એ ભાજપનો ઉત્સાહ બમણો કરી નાંખ્યો છે.
ચાલો હવે ફોડ પાડી જ દઇએ કે આ Extra-82 છે શું? આ શબ્દે જન્મ લીધો છે ગુરુવારે યોજાયેલ મતદાન બાદ. ગુજરાતમાં ગત 30મી એપ્રિલે યોજાયેલ 26 લોકસભા બેઠકો ઉપરની ચૂંટણીમાં 63.31 ટકા મતદાન થયું છે કે જે ગત ચૂંટણીમાં થયેલ 47.89 ટકા મતદાન કરતા 15.42 ટકા વધુ છે. ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં કુલ 4 કરોડ 5 લાખ 78 હજાર 577 મતદારો નોંધાયા હતાં અને તેમાંથી કુલ 2 કરોડ 56 લાખ 89 હજાર 887 મતદારોએ મતદાન કર્યુ હતું. ગત ચૂંટણી એટલે કે 2009માં ગુજરાતમાં કુલ 3 કરોડ 64 લાખ 84 હજાર 281 મતદારો નોંધાયા હતાં અને તેમાંથી 1 કરોડ 74 લાખ 74 હજાર 120 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ ગુજરાતમાં 2009ની સરખામણીમાં 2014માં 82 લાખ 15 હજાર 767 વધુ મતદારોએ મત આપ્યાં છે.
બસ, Extra-82નો આજ અર્થ છે કે ગુજરાતમાં ગત ચૂંટણી કરતાં વધારાના 82 લાખ કરતા વધુ મત પડ્યાં છે અને આ Extra-82 મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પોત-પોતાના દાવાઓ કરી રહ્યાં છે, પરંતુ જ્યાં સુધી માહોલ અને અટકળોનો સંબંધ છે, તો ભાજપ Extra-82ને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત મોટાભાગના નેતાઓ દાવો કરે છે કે Extra-82નો ફાયદો ભાજપને જ થશે. કેટલાંક નેતાઓ તો ભાજપને તમામ 26 બેઠકો મળવાનો પણ દાવો કરી રહ્યાં છે. બીજી બાજુ કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ Extra-82ને ગુજરાતમાં મોદી સરકાર વિરુદ્ધ થયેલ મતદાન કહી રહી છે.
જોકે અહીં આપણે કરવા જઈ રહ્યાં છીએ એક Micro Analysis કે જેના દ્વારા સ્પષ્ટ રીતે સમજાશે કે Extra-82 કઈ રીતે ભાજપને ક્લીન સ્વીપ અપાવી શકે છે? :
કોંગ્રેસની મતબૅંક અકબંધ
ગુજરાતમાં મતદાનની ટકાવારીની વધઘટ અને પરિણામો પર તેની અસરના ઇતિહાસ પર નજર નાંખીએ, તો સ્પષ્ટ થઈ જશે કે મોટાભાગે કોંગ્રેસ માટે ઓછું મતદાન ફાયદાકારક અને વધુ મતદાન નુકસાનકારક રહેતુ આવ્યું છે, કારણ કે એમ કહેવાતુ રહ્યું છે કે કોંગ્રેસની મતબૅંક મૂળત્વે મુસ્લિમ-દલિત-ગરીબ વર્ગના લોકો છે કે જેઓ મત અચૂક આપતા જ હોય છે, જ્યારે કોંગ્રેસ વિરોધી મતદારો કોઈ ખાસ લહેર દરમિયાન જ મોટાપાયે ઉમટે છે કે જે કોંગ્રેસને ભારે પડી જાય છે.
ઇતિહાસ ગવાહ છે...
1962થી લઈ 2004 સુધીના મતદાનની ટકાવારી અને પરિણામો પર નજર નાંખતા સ્પષ્ટ જણાય છે કે ભારે મતદાન કોંગ્રેસના સૂપડા સાફ કરી શકે છે અને ભાજપને ક્લીન સ્વીપ અપાવી શકે છે. દેશમાં નરેન્દ્ર મોદીની લહેર અને ઉપરાંત ગુજરાતી વડાપ્રધાન તરીકે કરવામાં આવેલ પ્રચાર અને નરેન્દ્ર મોદીની ગુજરાતમાં મજબૂત પક્કડને જોતાં સ્પષ્ટ લાગે છે કે ગત ગુરુવારે થયેલ ભારે મતદાન ભાજપને ફાયદો કરાવી શકે છે.
Extra-82ના સહારે ક્લીન સ્વીપ
આ વખતની ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા લગભગ 82 લાખ વધારાના મત પડ્યા છે કે જેને આપણે અહીં Extra-82 તરીકે સંબોધ્યાં છે અને Extra-82 જો મોદી લહેરના કારણે જ મતદાન માટે બહાર નિકળ્યાં હોય, તો સ્પષ્ટ છે કે ભાજપને 26માંથી મહત્તમ બેઠકો મળી શકે. તેમાં આ વખતે ગુજરાતમાં લગભગ 10 લાખ મતદારો તો પહેલી વાર મતદાન કરનારા હતાં અને આ યુવા મતદારોનો ઝોક પણ મોદી અને ભાજપના પક્ષમાં જ રહ્યો હશે એમ માની શકાય. બીજી બાજુ કોંગ્રેસના હાલના 11 સાંસદોના મત વિસ્તારોમાં થયેલ ભારે મતદાન કોંગ્રેસ માટે ચિંતાજનક છે, કારણ કે કોંગ્રેસના મોટાભાગના સાંસદો ઓછા માર્જિનથી ચૂંટણી જીત્યા હતાં. બીજી બાજુ ભાજપના ગઢોમાં પણ મતદાન ભારે થયું છે અને તે મોદી લહેરના કારણે જ થયું હોય, તો ચોક્કસ ભાજપ આ વખત બેઠકોની સંખ્યાની બાબતમાં અગાઉના તમામ રેકૉર્ડ તોડી શકે છે અને કદાચ તમામ 26 બેઠકો પણ જીતી જાય, તો આશ્ચર્ય નહીં થાય. ચાલો હવે આગળની સ્લાઇડોમાં આપને કારણ પણ બતાવી દઇએ કે આવા તારણો કઈ રીતે કાઢી શકાય?
ઓછું મતદાન, વધુ ફાયદો
ગુજરાતના ઇતિહાસમાં ડોકિયું કરીએ, તો સ્પષ્ટ રીતે જણાય છે કે જ્યારે પણ રાજ્યના લોકોએ ઓછુ મતદાન કર્યું છે, ત્યારે કોંગ્રેસને ફાયદો જ થયો છે. પૃથક ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજાયેલ ચૂંટણીમાં માત્ર 46.97 ટકા મતદાન થયુ હતું અને તેમાં કોંગ્રેસે 22માંથી 16 બેઠકો મેળવી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. એનજેપી અને પીએસપીને 1-1 બેઠક જ મળી હતી.
મતદારો નિકળતા જ ફટકો
બીજી બાજુ ગુજરાતમાં સૌથી વધુ 63.77 ટકા મતદાનનો રેકૉર્ડ 1967માં નોંધાયો હતો અને આ ચૂંટણીમાં કુલ 24 બેઠકોમાંથી કોંગ્રેસને 11 બેઠકો જ મળી હતી, જ્યારે સ્વતંત્ર પક્ષ 12 અને એક બેઠક અપક્ષે હાસલ કરી હતી. 1971માં પણ 55.49 ટકા જેટલા સરેરાશ મતદાનમાં કોંગ્રેસની બેઠકનો આંકડો 11 જ રહ્યો હતો અને સંસ્થા કોંગ્રેસને 11 તથા સ્વતંત્ર પક્ષને 2 બેઠકો મળી હતી. આમ ભારે મતદાન થતા જ કોંગ્રેસની હાલત બગડી જવાનો પાયો અહીંથી નંખાયો હતો.
77માં પણ સોથ વળ્યો
1977માં યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતે ફરી જોર માર્યું અને 59.21 ટકા જેટલું ભારે મતદાન થયું. દેશમાં ચાલતી ઇમર્જંસી અને ઇંદિરા વિરોધી લહેરના કારણે મતદાન વધ્યું અને કોંગ્રેસનો સોથ વળી ગયો. આ ચૂંટણીમાં 26માંથી માત્ર 10 જ બેઠક મળી, જ્યારે ભારતીય લોકદળે 16 બેઠકો હાસલ કરી શાનદાર સફળતા મેળવી.
ઇંદિરા લહેરે મિથક તોડ્યો
ગુજરાતમાં વધુ મતદાનથી કોંગ્રેસને નુકસાનનો જે મિથક સર્જાયો હતો, તે ઇંદિરા લહેરેમાં તુટી ગયો. 1980માં રાજ્યમાં 55.41 ટકા જેટલુ સારૂં મતદાન થયું, પરંતુ કોંગ્રેસને નુકસાન થયો નહીં. ઇંદિરા લહેરમાં કોંગ્રેસને આ ચૂંટણીમાં રેકૉર્ડ 25 બેઠકો મળી, જ્યારે 1 બેઠક એનજેપીના ખાતે ગઈ, તો 1984માં ઇંદિરા સહાનુભૂતિ લહેરમાં પણ 57.93 ટકા જેટલુ ભારે મતદાન થયું અને કોંગ્રેસે 24 બેઠકો હાસલ કરી જ્વલંત સફળતા મેળવી, જ્યારે ભાજપ અને જનતા પાર્ટીને 1-1 બેઠકો મળી.
ફરી ભૂત વળગ્યું
ઇંદિરા લહેર ઓસરતા જ કોંગ્રેસને વધુ મતદાને નુકસાનનુ ભૂત ફરી વળગ્યું. 1989માં રાજીવ સરકાર વિરોધી લહેરમાં ભાજપ-જનતા દળ વિકલ્પ તરીકે ઉપસ્યા. આ ચૂંટણીમાં 57.93 ટકા જેટલુ ભારે મતદાન થયું અને કોંગ્રેસની બેઠકો 24માંથી સંકોચાઈને 3 ઉપર આવી ગઈ. બીજી બાજુ ભાજપને 12 અને જનતા દળને 11 બેઠકો હાસલ થઈ.
વારંવાર ચૂંટણીએ સર્જ્યો અપવાદ
ઓછા મતદાને કોંગ્રેસને ફાયદાની બાબતમાં 1991ની ચૂંટણી અપવાદ ગણી શકાય અને આ અપવાદ બે જ વર્ષમાં ફરી આવી પડેલી ચૂંટણીના કારણે સર્જાયો. વહેલી આવી પડેલી ચૂંટણીના પગલે મતદારોમાં નિરાશા હતી અને એટલે જ માત્ર 44.01 ટકા જ મતદાન થયું. આમ ઓછું મતદાન થવા છતા કોંગ્રેસને ફાયદો ન થયો, કારણ કે તેને 5 જ બેઠક હાસલ થઈ, જ્યારે ભાજપને 20 બેઠકો મળી. જનતા દળ ગુજરાત 1 બેઠક મેળવી શક્યો.
ફરી સાબિત થયું...
1996ની ચૂંટણીએ ફરી વાર સાબિત કરી આપ્યું કે ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો જ થાય છે. આ ચૂંટણીમાં ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઓછું માત્ર 35.92 ટકા મતદાન થયુ હતું અને કોંગ્રેસની બેઠકો ગત ચૂંટણી બમણી એટલે 10 થઈ ગઈ હતી, તો ભાજપને 4 બેઠકોનું નુકસાન થતાં તેને 16 જ બેઠક હાસલ થઈ હતી. તેવી જ રીતે 1998ની ચૂંટણીમાં ગુજરાતે ફરી 59.31 ટકા જેટલુ ભારે મતદાન કર્યું અને કોંગ્રેસને નુકસાન થયુ, જ્યારે ભાજપને ફાયદો થયો. કોંગ્રેસને આ ચૂંટણીમાં 7 બેઠકો મળી, જ્યારે ભાજપને 19 બેઠકો હાસલ થઈ.
2004એ 1999ને અપવાદ બનતા અટકાવ્યો
1999ની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા લગભગ 12 ટકા ઘટી 47.03 ટકા રહી ગઈ, પરંતુ આમ છતાં કોંગ્રેસને ફાયદાની જગ્યાએ નુકસાન થયું. ઓછા મતદાનમાં પણ ભાજપને 1 બેઠકના ફાયદા સાથે 20, તો કોંગ્રેસને 1 બેઠકના નુકસાન સાથે 6 બેઠકો મળી. આમ 1999ની ચૂંટણીએ ફરી અપવાદ તો સર્જ્યો હતો, પરંતુ 2004ની ચૂંટણીએ આ અપવાદને ખોટો સાબિત કરી આપ્યો. 2004માં ગુજરાતમાં ગત ચૂંટણી કરતા 2 ટકા જેટલુ ઓછું એટલે કે 45.18 ટકા જ મતદાન થયું અને તેથી કોંગ્રેસને ફાયદો થયો. તેની બેઠકોનો બમણો થઈ 12 પર પહોંચી ગયો, તો ભાજપને 6 બેઠકના નુકસાન સાથે 14 બેઠકો હાસલ થઈ.
2009માં વો હી રફ્તાર...
2009 એટલે કે ગત ચૂંટણીમાં પણ એ જ પરમ્પરા જોવામાં આવી કે વધુ મતદાને ભાજપને ફાયદો કરાવી આપ્યો. ગત ચૂંટણીમાં 47.89 ટકા મતદાન થયુ હતું કે જે 2004ની સરખામણીમાં 2 ટકા વધુ હતું અને તેનો ફાયદો ભાજપને 1 બેઠકના વધારા સાથે મળ્યો. આ ચૂંટણીમાં ભાજપને 15 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસ 11 બેઠકો હાસલ કરવામાં સફળ રહી. જોકે ભાજપના અગાઉના પ્રદર્શનો જોતા સ્પષ્ટ છે કે ઓછા મતદાને ભાજપની 19-20-21 બેઠકો મેળવવાની એવરેજની લાઇન-લેંથ બગાડી નાંખી છે.