મોદીનો પ્રહારઃ કેન્દ્રએ લિલામ કરી દેશની આબરૂ
વડાપ્રધાન ડો. મનમોહન સિંહની સરકાર, સોનિયા ગાંધીનું નેતૃત્વ, નીતિ-નિયમો સામે પ્રહારો કરતા 'જીતો'ની ચોથી એજીએમમાં અથિતિ વિશેષ તરીકે મોદીએ કહ્યું કે, આપણી ધરતી પર મહાવીર, બુદ્ધ, આદી શંકરાચાર્ય અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષો જન્મ્યા છે, જેમણે હંમેશા અહિંસાનો માર્ગ અપનાવ્યો અને ક્યારેય પણ દેશની સંસ્કૃતિને ઝાંખી પડવા દીધી નહી, આ સંસ્કૃતિ દ્વારા વિશ્વ પર પ્રભાવ પાડી શકાય છે તે વાત તેમણે પુરવાર કરી છે. જ્યારે બીજી તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર માંસ-મટનની નિકાસ અને કતલખાનાને સબસિડી આપી પશુઓની કત્લેઆમ દ્વારા ભારતને વિશ્વનું સૌથી મોટું મટન નિકાસકાર બનાવવા માંગે છે.
તેમણે ઉમેર્યું છે કે, કેન્દ્ર સરકાર મટન-બીફ માટેની પીન્ક રિવોલ્યુશનનું સપનું સેવી રહી છે. ગુજરાતે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવીને ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો કર્યો છે. આ જ પ્રકારનો કાયદો કેન્દ્ર દ્વારા કરવામાં આવે તેવું સુપ્રીમે કર્યું છે પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર તેનું પાલન કરવા તૈયાર નથી.
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે, વીસમી સદીના ઉતરાર્ધમાં વિશ્વ એવું માની રહ્યું હતું કે 21મી સદી ભારતની છે, પરંતુ પહેલા દશકાના અંતે કેન્દ્ર સરકારે એવી લૂંટ ચલાવી છે કે ભારતની આબરૂ લિલામ થઇ ગઇ.