સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મોદીએ માંગ્યા એક હજાર સુરતી યુવાનો
સુરત, 21 ઓક્ટોબરઃ સુરતમાં એમએસ લાખાણી હોસ્પિટલના ભૂમિપુજન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ હાજરી આપી છે. આ તકે નરેન્દ્ર મોદીએ આ તકે જણાવ્યું હતું કે સુરત હંમેશા વિકાસ અને સેવાના કામમાં સાથ આપતુ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વનું સૌથી ઉંચું સ્મારક બનાવવામાં પણ સુરત સહયોગી થશે. તેમણે સુરતમાંથી એક હજાર વોલેન્ટિયર્સ માગ્યા છે જે, દરેક ગામમાં જઇને સરદાર પટેલના સ્મારક અંગે માહિતી આપી શકે અને દરેક ગામને સમજાવી શકે કે તેઓ સ્મારકમાં કેવી રીતે મદદરૂપ થઇ શકે છે.
આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતની એક વિશેષતા રહી છે, આપણું રાજ્ય એક બાબતમાં ખૂબ ભાગ્યશાળી છે અને સદીઓથી આપણા પૂર્વજોએ એક ઉત્તમ પરંપરા અહીં નિર્માણ કરી છે અને એ પરંપરા એટલે મહાજનની પરંપરા. ગુજરાતમાં ક્યાંય પણ નજર કરો તો સમાજના શ્રેષ્ઠીઓ સમાજ માટે એવી અદભૂત કામ કરીને ગયા હોય કે તેની વાહવાહ આજે પણ ચાલતી હોય. તમે ગુજરાત અને રાજસ્થાનમાં પ્રવાસ કરો તો પાંચ પચાસ કિમી જાઓ ત્યારે લાખા વણજારાનું નામ સાંભળવા મળે.
એ સમયે પાણીનું સકંટ હતું, વાવડીઓ બનાવી પાણી પહોંચાડવાનું કામ લાખા વણજારાએ કર્યું. આપણે ત્યાં ગૌશાળા કે પાંજરાપોળ સરકારો નહીં પણ સમાજ ચલાવે છે. શાળાઓ સમાજ ચલાવતો હોય, ધર્માદા, દવાખાના સમાજ ચલાવતો હોય, સરકારનું કેટલું મોટું ભારણ આપણે ત્યાં હસતે મુખે સેવાભાવથી સમાજ ઉપાડતો રહ્યો છે અને સદ નસીબે એ પરંપરા આપણા સમાજના આગેવાનોએ પણ નિભાવી છે, તેમને હું અભિનંદન પાઠવું છું.
પૈસા કમાવવા, દર છ મહિને નવી ગાડી લાવવી એ બધુ અહીં બેસેલા લોકો માટે ડાબા હાથનો ખેલ છે, પરંતુ સંપત્તિનો આવો સદુપયોગ કરવો, આ હોસ્પિટલ જ્યારે બને છે, ત્યારે માત્ર એક ઇમારત નથી બનતી, અહીં આવનારો પ્રત્યેક દર્દી અમિર હોય કે ગરીબ, જીવન મરણ વચ્ચે જોલા ખાતો હોય ત્યારે તેના ઘરે રૂપિયાના અંબાર પડ્યા હોય તે કામ ના આવે આ ચાર દિવાલોમાં બેસેલો ડોક્ટર તેમાં કામ આવે છે, ત્યારે તમારા મનને સંતોષ થાય કે આવું પવિત્ર કામ કર્યું.
બેટી બચાવો અભિયાન, એ નાની અમથી વાત નથી, આજે આપણને લાગે કે આપણા સમાજના લોકોએ બેટી બચાવો માટે આવું આવું કર્યું, કુટુંબોમાં વર્ષોથી એક માનસિકતા ઘર કરી ગઇ હોય, દિકરાનો મહિમા એની રગેરગમાં વ્યાપી ગયો હોય, દિકરો એટલે બધુ, દિકરી એટલે ઠીક, આવી માનસિકતા બદલવા માટે ઘર બહાર નિકળવું, સમાજના મોટેરાઓ વચ્ચે ઉભા રહેવુ અને તમે ખોટા માર્ગે છો સાચા માર્ગે જવાનું છે તે કહેવા માટે હિંમત જોઇએ અને એ સુરત પાટીદાર સમાજે કર્યું છે, આ રાજ્ય પાસે આવા ઉત્તમ નાગરીક, દાતા, સમાજ માટે સંવેદના ધરાવનારા યુવાનો હોય ત્યારે રાજ્યને ક્યારેય ઉંચી આંચના આવે.
શિક્ષણ હોય, આરોગ્ય હોય, સમાજસેવા હોય ત્યારે આવા ઉત્તમ કામો આજે સમાજના આગેવાનો દ્વારા થઇ રહ્યાં છે. આપણે જેટલી ઝડપથી હોસ્પિટલ બનાવીએ, સાધન વસાવીએ છીએ તેના કરતા પણ રોગચારાનો વિકાસ પણ થઇ રહ્યો છે. જાણે મનુષ્યને આરોગ્ય માટે સ્પર્ધા કરી પડે છે, ત્યારે આરોગ્ય માટે એવી હોસ્પિટલનું નિર્માણ અને આ નજરાણું માત્ર સુરત માટે નથી, ભૂમિ સુરતની હશે, પરંતુ આ રાજ્યની કોઇપણ વ્યક્તિને વિશિષ્ટ પ્રકારની સેવા જોઇશે તો તેનું સરનામું આ હોય તેવું કામ કરવાનું છે.
આ વર્ષ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજંયતિનું છે. અને તેમણે કહ્યું છે કે, જો નારાયણની સેવા કરવી હોય તો દરિદ્ર નારાયણની સેવા કરો. જે ભૂમિ પર દરિદ્ર નારાયણની સેવાનો મહિમા કહેવામાં આવ્યો છે ત્યારે તેને લઇને આપણે આટલુ મોટું નજરાણુ બનાવવાનું છે કે, ગુજરાત કે બહારના દર્દી અહીં આવે તો તેને લાગે કે હવે અહીં બધા જ રોગ મુકીને જવા છે.
એવું એક ઉત્તમ કામ અહીં થશે તેવો મને વિશ્વાસ છે. મને કંઇક માગવાનું મન થાય છે. મને વિશ્વાસ છે કે અહીં પડ્યો બોલ જીલનારા છે. મારા 12 વર્ષના શાસનકાળમાં મે કોઇ વાત મુકી હોય અને મારો પડ્યો બોલ ના ઉઠાવ્યો હોય તેવી એકપણ ઘટના નથી. એક વાત નક્કી મે ક્યારેય મારા માટે કે ના તો મારી પાર્ટી માગ્યુ છે, અને એટલે જ તેમને ખબર છે કે મારું લક્ષ્ય શું છે. મારુ એ કામ છે, મનમાં સ્વપ્ન લઇને ચાલું છું, મારે સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વનુ ઉંચામાં ઉંચુ સ્મારક બનાવું છે. આપણે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ઉંચુ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું છે.
સરદારે 400 વર્ષમાં નથી થયું તેવું એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે, જેને ભુંસવા માટેના 60 વર્ષથી પ્રયત્નો કરવામાં આવ્યા છે, નામ ભુંસવા માટે, પણ તેમને ખબર નથી કે આ ગુજરાત છે, વાળી ચોળીને તમને ભુંસી નાખશે. જ્યાં સરદાર સરોવર ડેમ બન્યો છે, ત્યાં જ આ ભવ્ય સ્મારક ઉભૂ કરવાના છીએ. તમે કલ્પના કરી શકો છો કે આ સ્મારક થયા પછી વિશ્વભરના લાખો ટૂરિસ્ટો આવતા હશે, અને બધા પૂછશે આ સરદાર સાહેબ કોણ હતા અને શું કરીને ગયા. આવુ એક ભગિરથ કામ કરવા માટે તમારી મદદ જોઇએ છીએ.
સરદાર વલ્લભભાઇ પટેલ ખેડૂત હતા, આઝાદીના આંદોલનમાં ખેડૂતોને જોડવાનું સરદાર પટેલે કર્યું હતું. ગામડામાં ખેડૂતોમાં ક્રાન્તિ લાવવાનું કામ વલ્લભભાઇ પટેલે કર્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલ લોહપુરુષ હતા અને તેથી આપણે એક કામ કરવું છે, જેમા તમારી મદદ જોઇએ છીએ, હિન્દુસ્તાનના દરેક ગામને સાત લાખ ગામને આ સરદાર સાહેબનું સ્મારક બનાવવા માટે જોડવા છે કારણ કે આ એકતાનું કામ છે અને દેશને જોડવો જોઇએ, તેઓ ખેડુત પુત્ર અને લોહ પુરુષ હતા તેથી દરેક ગામમાંથી આપણે એક લોખંડનો ટૂકડો દાનમાં લેવો છે, જેથી દરેકને લાગે કે આ સ્મારકમાં અમારા ગામનું પણ યોગદાન છે. એક હજાર વોલેન્ટિયર મારે આ કામ કરવા માટે સુરતમાંથી જોઇએ છીએ. જે ફિલ્મ બનાવે અને ગામને સમજાવે કે તેમને શું કરવાનું છે તે સમજાવે તેવા યુવાનો મારે જોઇએ છે.
સમાજને કેવી રીતે જોડી શકાય 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજંયતિએ તેમના સ્મારકની સિલાન્યાસ વિધી કરવાના છીએ પછી, દેશના દરેક લોકોને સમાજવીશું અને 15મી ડિસેમ્બરથી 26મી જાન્યુઆરી સુધીમાં આ બધુ એકત્ર કરવાનું કામ પૂર્ણ કરી દઇશું અને તેના માટે ખમતીધર વોલેન્ટિયર્સ મળે, જેથી આ સ્વપ્ન પૂર્ણ થશે. જો તમે આ કામ કરશો તો તમે સરદાર પટેલના એ સ્ટેચ્યુની આંખે આખું વિશ્વ જોઇ શકશો. આપણી પાસે આવા મહાન પૂર્વજો છે, જેમના અંગે દુનિયાને દર્શાવવું છે અને તેમણે કરેલા કામો અંગે વિશ્વને જણાવવું છે.