મોદીનો બર્થ ડે પ્રોગ્રામ : મંદિર, માતા અને ભારત માતા!
અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા બાદ ગુજરાત ભાજપમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે મોદીના નામની જાહેરાત કરીને મોદીના મંગળવારે આવતા 63મા જન્મદિવસ નિમિત્તેની બર્થડે ગિફટ આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન નરેન્દ્ર મોદી મંગળવારે લાખો અમદાવાદીઓના શ્રદ્ધાકેન્દ્ર ગણાતા જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે પ્રભુના આશિષ લેવા જશે તેવી ચર્ચા થઇ રહી છે.
આ મુલાકાત અને નરેન્દ્ર મોદીના જન્મ દિવસના આયોજન અંગે ગુજરાત ભાજપના સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી મોદીની પીએમ પદના ભાજપના ઉમેદવાર તરીકેની જાહેરાત બાદ તેની ગુજરાત સહિતના દેશભરમાં ભાજપની પ્રાદેશિક કચેરીઓ પર ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મુખ્યપ્રધાન મોદીએ પણ જાહેરાત બાદ એમ કહ્યું હતું કે ભાજપે મારા જેવા નાના નગરના સામાન્ય માનવીને જે મહત્ત્વની જવાબદારી સોંપી છે તેને હું સાર્થક કરીશ.
એનડીએના ઘટક પક્ષોએ પણ મુખ્યપ્રધાન મોદીની પીએમ પદના ઉમેદવાર તરીકેની જાહેરાતને હર્ષભેર વધાવી લીધી છે. શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તો આ જાહેરાતને સમુદ્રમંથન બાદ નીકળેલા અમૃત સાથે સરખાવી હતી. મુખ્યપ્રધાન મોદી17 સપ્ટેમ્બર, મંગળવારના રોજ જીવનના 62 વર્ષ પૂર્ણ કરીને 69મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. આ પ્રસંગે મોદીના જન્મ દિવસની ઉજવણીનો ઉત્સાહ-થનગનાટ ભાજપના કાર્યકરોમાં છવાઈ ગયો છે.
જોકે હજુ સુધી ગુજરાત ભાજપે કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી, પરંતુ દરેક જન્મ દિવસની પરંપરા મુજબ મોદી ભગવાન જગન્નાથજીના મંદિરે જઈને આશીર્વાદ લેતા હોઈ મંગળવારે પણ તેઓ પ્રભુના આશીર્વાદ લેશે તેવી પ્રબળ શક્યતા છે.
ત્યાર બાદ તેઓ નિયમ મુજબ પોતાના માતા હીરાબાના આશીર્વાદ મેળવવા જશે. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ જેને પોતાનું આજીવન કર્મ બનાવ્યું તે ભારત માતાની સેવા માટેના કાર્યો કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટરો મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જગન્નાથ મંદિર ખાતે મંગળવારે સવારે 9 વાગ્યે સમૂહ આરતીનો કાર્યક્રમ ઘડી કાઢયો છે. મેયર મીનાક્ષીબહેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના નેતા મયૂર દવે વગેરે સહિત કુલ 151 કોર્પોરેટરો આ દિવસે સમૂહ આરતી કરી મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને તેમના સામાજિક રાજકીય જીવનમાં તેઓ પ્રગતિના ઉચ્ચતમ શિખરો સર કરે તે માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાના છે.