અમદાવાદ, 30 એપ્રિલ : જરા યાદ કરો સોળ માસ જૂનો માહોલ. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2012ના પડઘમ વાગતા હતાં. એક બાજુ સતત ત્રીજી વાર બહુમતી મેળવવા મેદાને ઉતરનાર નરેન્દ્ર મોદી હતાં, તો બીજી બાજુ નરેન્દ્ર મોદીના દરેક વાર સામે પછડાટ ખાતી કોંગ્રેસ હતી અને ભાજપ-કોંગ્રેસના આ દ્વંદ્વ યુદ્ધમાં ખુલ્લી વાક્-તલવારે ઊભા હતાં ક્યારેક ગુજરાત ભાજપના ભીષ્મ ગણાતાં કેશુભાઈ પટેલ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2012માં યોજાઈ હતી અને નરેન્દ્ર મોદી માત્ર કોંગ્રેસ દ્વારા જ નહીં, પણ કેશુભાઈ પટેલ તથા ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે જીપીપી દ્વારા પણ ઘેરાયા હતાં. તે વખતે કેશુભાઈ પટેલે મોદી સામે ખુલ્લો મોરચો માંડ્યો હતો. કેશુભાઈ પટેલે સમગ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી ઉપર જોરદાર પ્રહારો કર્યા હતાં. કેશુભાઈ પટેલે મોદીને તાનાશાહ ગણાવ્યા હતાં. તેમણે મોદીની કાર્યશૈલીને હિટલરવાદી ગણાવી હતી. કેશુભાઈ ઉપરાંત તેમના સાથીઓ સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા વિગેરે પણ જીપીપીના બૅનર હેઠળ મોદી સામે પડ્યા હતાં, પરંતુ ગુજરાતની પ્રજાએ કેશુભાઈ અને જીપીપી બંનેને ફગાવી દીધા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપ અને મોદીએ બહુમતી હાસલ કરી હતી, તો જીપીપી માત્ર 2 બેઠકો જ હાસલ કરી શકી હતી.
આ સમગ્ર વાતને લગભગ સોળ માસનો સમય થઈ ગયો છે. આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 1014 માટેનું મતદાન થઈ રહ્યું છે. જે કેશુભાઈ પટેલ સોળ માસ અગાઉ નરેન્દ્ર મોદીને ભાંડતા હતાં, તે જ કેશુભાઈ પટેલ એટલે કે બાપા આજે સોળ માસ બાદ તે જ નરેન્દ્ર મોદીના વખાણ કરતા હતાં. કેશુભાઈ પટેલે આજે રાજકોટ ખાતે મતદાન કર્યા બાદ કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે. જે લહેર બાપાને સોળ માસ અગાઉ નહોતી દેખાઈ, તે લહેર આજે 16 માસ બાદ દેખાઈ રહી છે.
ચાલો તસવીરો સાથે વાંચીએ બાપા-મોદીની આગળની વાર્તા :
ગુજરાત ભાજપના ભીષ્મ
કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક છે અને તેમના નેતૃત્વ હેઠળ જ ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણી 1995માં પહેલી વાર ગુજરાતમાં બહુમતી મળી હતી. જોકે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા બાદ કેશુભાઈ માત્ર સાત માસ જ મુખ્યમંત્રી રહી શક્યા હતાં અને ભાજપના આંતરકલહે તેમની ખુરશીનો ભોગ લઈ લીધો હતો.
પ્રજાની સહાનુભૂતિ
શંકરસિંહ વાઘેલા દ્વારા કરાયેલ દ્રોહની વિરુદ્ધ પ્રજાની સહાનુભૂતિ બાપા સાથે હતી અને એટલે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી 1998માં બાપાના નેતૃત્વ હેઠળ ભાજપને ફરી બહુમતી મળી હતી અને તેઓ બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતાં.
ભૂકમ્પે હચમચાવી ખુરશી
ગુજરાતમાં 2001માં આવેલ ભૂકમ્પે કેશુભાઈ પટેલની ખુરશી હચમચાવી દીધી અને ગુજરાતમાં ભાજપ વધુમાં વધુ નબળી સ્થિતિમાં પહોંચતો ગયો.
મોદીનું આગમન
ભાજપ હાઈકમાંડે ગુજરાતમાં પક્ષને બગડતી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે 2001માં કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યાં.
જુદા થયા રસ્તા
કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી ખસેડાતાની સાથે જ તેમના અને નરેન્દ્ર મોદીના રસ્તા જુદા થઈ ગયાં અને તેમણે મોદીનો વિરોધ શરૂ કરી દીધો. જોકે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007 સુધી તેઓ પક્ષમાં જ રહી મોદીનો વિરોધ કરતા રહ્યાં.
ખુલ્લેઆમ પડકાર્યાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કેશુભાઈએ નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો. બાપાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું અને જીપીપી બનાવી ચૂંટણીના મેદાને ઉતર્યાં.
અને પછડાટ ખાધી
કેશુભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મોદીની લહેરને ઓળખી ન શક્યાં, પરંતુ પરિણામોએ તેમને સત્ય જણાવી દીધું. આ ચૂંટણીમાં કેશુભાઈ પટેલ તો જીતી ગયાં, પરંતુ તેમના પક્ષ જીપીપીને માત્ર 2 જ બેઠકો મળી.
રાજકારણમાંથી નિવૃત્તિ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મોદીના હાથે પછડાટ ખાધા બાદ કેશુભાઈએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી અને જીપીપીનો ભાજપમાં વિલય થઈ ગયો.
હવે દેખાઈ લહેર
હવે સોળ માસ બાદ આજે કેશુભાઈ પટેલને ગુજરાત જ નહીં, પણ દેશમાં નરેન્દ્ર મોદીની લહેર દેખાઈ છે. બાપાએ મતદાન કર્યા બાદ જણાવ્યું કે દેશમાં મોદીની લહેર છે.