રાજ્યમાં મેઘ મહેર શરુ, કુલ 108 તાલુકામાં વરસ્યો વરસાદ, રાજકોટ જળબંબાકાર
રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. કુલ 108 તાલુકામાં વરસાદ થયો હતો.
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. કુલ 108 તાલુકામાં વરસાદ થયો હતો. રાજકોટમાં પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વળી, નીચાણવાલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા હતા. જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો.
ગાંધીનગરની વાત કરીએ તો માણસામાં અઢી ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં 2 ઈંચ, બનાસકાંઠાના 4 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. વળી, બનાસકાંઠીના વડગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કચ્છના રાપરમાં સુવઈ આસપાસના ગામોમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નખત્રાણાના કોટડા જદોડરમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત નીપજ્યા હતા.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે. વળી, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.