PM મોદીની મોરબી મુલાકાત પહેલા હૉસ્પિટલમાં રંગરોગાન, વિપક્ષે કહ્યુ - ફોટોશૂટ પહેલાની તૈયારી, જુઓ Video
પીએમ મોદીની આ મુલાકાત પહેલા સિવિલ હૉસ્પિટલના અમુક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જે કોંગ્રેસ પક્ષ દ્વારા શેર કરવામાં આવ્યા છે.
મોરબીનો ઝૂલતો પુલ પડવાની દૂર્ઘટનામાં મોતનો આંકડો 141 સુધી પહોંચી ગયો છે. 100થી વધુ લોકો ઘાયલ છે. ઘણા ઘાયલોની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ઘાયલોને મોરબીની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાતે જવાના છે. પીએમ મોદીની આ મુલાકાત પહેલા સિવિલ હૉસ્પિટલના અમુક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જે કોંગ્રેસ પક્ષ દ્વારા શેર કરવામાં આવ્યા છે. વિપક્ષે હૉસ્પિટલમાં મોડી રાતે રંગ-રોગાનના ફોટા શેર કરીને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે.
'આમને શરમ નથી આવતી, ઈવેન્ટબાજીમાં લાગ્યા છે'
કોંગ્રેસે આ ફોટા શેર કરીને કહ્યુ કે, 'પીએમ મોદીની મોરબી મુલાકાત પહેલા સિવિલ હૉસ્પિટલમાં રંગ-રોગાનનુ કામ ચાલી રહ્યુ છે. પીએમ મોદી સિવિલ હૉસ્પિટલમાં જવાના છે એ પહેલા ત્યાં રંગ-રોગાનનુ કામ ચાલી રહ્યુ છે. ચમકતી ટાઈલ્સો લગાવવામાં આવી રહી છે. પીએમ મોદીના ફોટામાં કોઈ કમી ના રહે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમને શરમ નથી આવતી. આટલા લોકો મરી ગયા અને આ લોકો ઈવેન્ટબાજીમાં લાગ્યા છે.' કોંગ્રેસે મોરબી પુલ દૂર્ઘટનાને 'આફતની ઈવેન્ટ' કહી છે.
|
'ફોટોશૂટ પહેલાની તૈયારી'
જ્યારે આમ આદમી પાર્ટીએ આને ભાજપના ફોટોશૂટ પહેલાની તૈયારી ગણાવી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર મોરબીની સિવિલ હૉસ્પિટલના રંગ-રોગાનના વીડિયો શેર કર્યા છે. વીડિયો શેર કરીને આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, 'મોરબી સિવિલ હૉસ્પિટલમાં રાતોરાત રંગકામ કરવામાં આવી રહ્યુ છે જેથી આવતીકાલે પીએમ મોદીના ફોટોશૂટમાં ગરીબ બિલ્ડીંગનો પર્દાફાશ ન થાય. 141 લોકો મૃત્યુ પામ્યા છે, સેંકડો ગુમ છે, અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ભાજપને ફોટોશૂટ કરીને ઢાંક-પિછોડો કરવાની પડી છે.
|
'ટેકનિકલ અને માળખાકીય ખામીઓના કારણે બની દૂર્ઘટના'
મોરબી શહેરમાં રવિવારે સાંજે બ્રિટિશ જમાનાનો ઝૂલતો પુલ ધરાશાયી થતા ઓછામાં ઓછા 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે આ દુર્ઘટના ટેકનિકલ અને માળખાકીય ખામીઓ અને કેટલીક જાળવણી સમસ્યાઓના કારણે થઈ હતી. રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવે પત્રકારોને જણાવ્યુ હતુ કે અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે ટેકનિકલ અને માળખાકીય ખામીઓ અને જાળવણી ન કરવાના કારણે અકસ્માત થયો હતો.