Morbi Bridge Collapse: ઓરેવા કંપનીએ કહ્યુ - 'ઝુલતા પર લોકો ઝુલતા હતા એટલે પુલ તૂટી પડ્યો!'
દિવાલ ઘડિયાળ, સીએફએલ બલ્બ અને ઈ બાઈક બનાવતી કંપની ઓરેવા કંપનીને આ પુલનુ સમારકામ કેવી રીતે અને કેમ સોંપવામાં આવ્યુ?
Morbi Bridge Collapse: મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનાના પડઘા માત્ર ગુજરાત કે દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પડી રહ્યા છે. જે રીતે છઠના મહાપર્વ દરમિયાન આ મોટી દૂર્ઘટના બની તેના કારણે 140થી વધુ લોકોના જીવ ગયા. હવે આ દૂર્ઘટના બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે દિવાલ ઘડિયાળ, સીએફએલ બલ્બ અને ઈ બાઈક બનાવતી કંપની ઓરેવા કંપનીને આ પુલનુ સમારકામ કેવી રીતે અને કેમ સોંપવામાં આવ્યુ?
એક સદી જૂનો છે આ ઝુલતો પુલ
મોરબીમાં જે ઝુલતો પુલ તૂટ્યો તે 100 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે, આ પુલ બ્રિટિશ કાળનો હતો જે રિપેરિંગ કામના કારણે બંધ કરવામાં આવ્યો હતો. આ પુલ 7 મહિનાથી બંધ હતો. પરંતુ આ પુલ ફરી શરૂ થાય તે પહેલા જ લોકોએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આટલા જૂના પુલનુ સમારકામ અને જાળવણીનુ કામ આ ક્ષેત્રનો કોઈ અનુભવ ન ધરાવતી કંપનીને કેવી રીતે આપવામાં આવ્યુ તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.
50 વર્ષ જૂની કંપની
આ પુલના સમારકામનો કૉન્ટ્રાક્ટ જે ઓરેવા કંપનીને આપવામાં આવ્યો હતો તે 50 વર્ષ જૂની કંપની છે. આ કંપનીની સ્થાપના ઓધવજી રાઘવજી પટેલે કરી હતી. આ કંપની અજંતા અને ઓરપેટ બ્રાન્ડની ઘડિયાળો બનાવે છે. રાઘવજી પટેલનુ આ મહિને 88 વર્ષની વયે નિધન થયુ હતુ. રાઘવજીએ 45 વર્ષની ઉંમરે આ બિઝનેસ શરૂ કર્યો હતો. આ કંપની હોમ એપ્લાયન્સિસ, લેમ્પ, કેલ્ક્યુલેટર વગેરે જેવા ઉત્પાદનો બનાવે છે.
કંપનીને કહ્યુ - 'ઝુલતા પર લોકો ઝુલતા હતા એટલે પુલ તૂટી પડ્યો!'
મોરબીમાં મચ્છુ નદી પર આ પુલ બનાવવામાં આવ્યો છે. સમારકામના કારણે તે બંધ કરવામાં આવ્યો હતો. આ પુલ 26 ઓક્ટોબરે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આરોપ છે કે આ પુલ ફિટનેસ સર્ટિફિકેટ વગર ખોલવામાં આવ્યો હતો. કંપનીના પ્રવક્તા કહે છે કે પુલની વચ્ચે ઘણા બધા લોકો એકઠા થયા હતા અને લોકો પુલના બંને છેડે ઝૂલતા હતા. જેના કારણે આ પુલ તૂટી ગયો હતો.
કંપનીની વેબસાઈટ પર કન્સ્ટ્રક્શન સેક્ટરનો કોઈ ઉલ્લેખ નહિ
ઓરેવા કંપનીએ અનેક વિસ્તારોમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે. કંપનીની વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી મુજબ કંપનીમાં કુલ 6000 લોકો કામ કરે છે. કંપનીના બિઝનેસમાં એવો ઉલ્લેખ નથી કે તે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ કામ કરે છે. જોકે, આ અકસ્માત બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 5 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.