મોરબી પુલ દૂર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં કરાઈ જાહેરહિતની અરજી, SIT બનાવીને તપાસની માંગ
મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે.
Morbi Bridge Collapse: મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના વકીલે આ જનહિત અરજી દાખલ કરી છે. જેમાં આવી ઘટના ફરીથી ના બને તે માટે દેશભરમાં જેટલા પણ જૂના પુલ કે સ્મારક છે, ત્યાં થતી ભીડને મેનેજ કરવા માટે નિયમ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં રાજ્યોમાં સ્થાયી ડિઝાસ્ટર તપાસ સમિતિને આવી આફતોમાં તરત સામેલ થવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મોરબીમાં પુલ તૂટી પડ્યાના એક દિવસ બાદ પુલ રિપેર કરનાર કંપની ઓરેવાના બે અધિકારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડની પુષ્ટિ રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ઓરેવાના મધ્યમ કક્ષાના કર્મચારી છે. પુલની દુર્ઘટના બાદ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ ગાયબ હોવાની માહિતી પણ મળી રહી છે.
બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધી 170 લોકોને બચાવવામાં આવ્યા છે. આજે સવારથી ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા ઘણા લોકોએ સમજદારી દાખવી અને ઘણા લોકોના જીવ બચાવી લીધા. જીજ્ઞેશ લાલજી ભાઈ નામના વ્યક્તિએ બચાવ કામગીરી શરૂ થાય તે પહેલા જ ઓછામાં ઓછા 90 લોકોને બચાવ્યા હતા. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે લગભગ 500 લોકો બ્રિટિશ જમાનાના સસ્પેન્શન બ્રિજ પર પહોંચ્યા હતા. અચાનક પુલ તૂટી ગયો અને ઓછામાં ઓછા 130થી વધુ લોકોના મોત થયા. 17 રૂપિયાની ટિકિટ પર 125ની ક્ષમતાવાળા પુલ પર અકસ્માતના દિવસે 500 વ્યક્તિને જવા દેવામાં આવ્યા હતા.