Morbi Bridge Collapse: PM નરેન્દ્ર મોદી આજે મોરબી જશે, પીડિત પરિવારોને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે મોરબી જઈ પુલ દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળશે તેમજ દૂર્ઘટના સ્થળની પણ મુલાકાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે મોરબી જઈ પુલ દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળશે તેમજ દૂર્ઘટના સ્થળની પણ મુલાકાત કરશે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મોટા અધિકારીઓ હાજર રહેશે. આ પહેલા PM મોદીએ સોમવારે સાંજે મોરબીની ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાનને બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
ભારતની ટોચની ફૉરેન્સિક લેબના સૂત્રોએ જણાવ્યુ હતુ કે ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ લોકોની ભારે ભીડને કારણે તૂટી ગયો હતો. આ પુલ સાત મહિનાથી નવીનીકરણ માટે બંધ હતો. 26 ઓક્ટોબરે સમારકામ બાદ તેને ખોલવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે PM મોદીએ સોમવારે કેવડિયામાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 'હું એકતા દિવસના કાર્યક્રમમાં છુ પરંતુ મારુ હૃદય અને દિમાગ મોરબીમાં નુકસાનની પીડા સહન કરી રહેલા લોકોના દુ:ખ અને દર્દથી ભરેલુ છે. આવી આઘાતજનક ઉદાસી મે ક્યારેય નથી અનુભવી.
ગુજરાત સરકારે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. મોરબી પુલ દૂર્ઘટનામાં ઓરેવા ગ્રૂપના અધિકારીઓ, બ્રિજ રિપેરિંગ કંપની, ટિકિટ વેચનાર અને સુરક્ષાકર્મીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યુ હતુ કે મોરબી પુલ તૂટી પડવા પાછળ ટેક્નિકલ અને માળખાકીય ખામીઓ અને કેટલાક મેન્ટેનન્સના મુદ્દા પણ જવાબદાર છે. કોંગ્રેસે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહના રાજીનામાની માંગ કરી હતી અને મોરબી પુલ તૂટી પડવાના કેસની ન્યાયિક તપાસની માંગ કરી હતી.
મોરબીનો આ ઐતિહાસિક પુલ શહેરની નગરપાલિકાની સત્તા હેઠળ હતો. પાલિકાએ તેના સમારકામની જવાબદારી અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝને સોંપી હતી. આગામી 15 વર્ષ એટલે કે 2037 સુધી પુલના સમારકામ, જાળવણી અને સંચાલન માટે ઓરેવા કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો.