કોરોના વચ્ચે ગુજરાત ટુરિઝમનું ગાડુ દોડ્યુ, 3 દિવસમાં અધધ 92 હજારથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા!
કોરોનામાં થંભી ગયેલો ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ રફ્તાર પકડી રહ્યો છે. જનમાષ્ઠમીના તહેવાર દરમિયાન સામે આવેલા આંકડા આ વાતની પુષ્ટી કરી રહ્યા છે. ગુજરાત પ્રવાસન સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષીત કરી રહ્યા છે.
કોરોનામાં થંભી ગયેલો ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ રફ્તાર પકડી રહ્યો છે. જનમાષ્ઠમીના તહેવાર દરમિયાન સામે આવેલા આંકડા આ વાતની પુષ્ટી કરી રહ્યા છે. ગુજરાત પ્રવાસન સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષીત કરી રહ્યા છે. આ પ્રવાસન સ્થળોએ જન્માષ્ટમીના તહેવારોમાં તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લીધી હતી.
92 હજારથી વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
નર્મદા જિલ્લાના કેવડિયામાં નિર્માણ પામેલી લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૮ ઓગસ્ટના રોજ ૨૩,૯૦૭ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૪૦,૯૧૪ અને ૩૦ ઓગસ્ટના રોજ ૨૭,૩૪૩ એમ કુલ ૯૨,૧૬૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. કેવડિયામાં આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, વ્યુઇંગ ગેલેરી, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, એકતા નર્સરી, કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, પેટ ઝોન, નૌકાવિહાર, ઈલેક્ટ્રીક સાયકલિંગ, રિવર રાફ્ટિંગ વગેરેનો પણ આનંદ મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓએ ઉઠાવી રહ્યા છે.
સાયન્સ સીટીમાં પ્રવાસીઓ વધી રહ્યા છે
અમદાવાદ સાયન્સ સીટીને વધુ આધુનિક અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓને ગમ્મતની સાથે જ્ઞાન મળે તેવા આશયથી વિકસાવવામાં આવેલા રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી, આઇ-મેક્સ થિયેટર, ફાઇવ-ડી થિએટર, અર્થક્વેક રાઇડ, મિશન ટૂ માર્સ રાઇડ જેવા વિશ્વસ્તરીય સ્થળો લોકોને આકર્ષવામાં સફળ રહ્યા છે. અમદાવાદ સાયન્સ સીટીની ૨૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન કુલ ૧૦,૯૯૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસો દરમિયાન ૩૫,૫૬,૯૧૦ રૂપિયાની આવક થઇ છે. જેમાં ૧૦,૨૩૬ લોકોએ એક્વેટીક ગેલેરી, ૨,૮૦૬ લોકોએ રોબોટીક ગેલેરી અને ૧,૪૦૩ લોકોએ એક્વેટીક ફાઇવ ડી થિએટરની મુલાકાત આ ત્રણ દિવસો દરમિયાન લીધી હતી.
ગીરનાર રોપ વે આકર્ષણનું કેન્દ્ર બન્યો
ગીરનાર રોપ-વે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. ગીરનારની ટોચ પર સહેલાઇથી પહોંચી ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જુનાગઢ ખાતે આ રોપ-વે થી ૨૮ ઓગસ્ટના રોજ ૪,૮૬૧ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૭,૪૫૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ૮,૫૦૩ એમ કુલ ૨૧,૧૨૩ પ્રવાસીઓએ મુલાકાત લઇ ગીરનારના પવિત્ર ધામોમાં દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો લાભ લીધો હતો.
શીવરાજપુર ગુજરાતનું “મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન”
રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે દ્વારિકાના શીવરાજપુર બીચના વિકાસને પણ સતત વેગ અપાઈ રહ્યો છે. એશિયાનો એકમાત્ર બ્લ્યુ બીચ તરીકે સુવિખ્યાત શીવરાજપુર બીચ પણ લોકોને ગમતુ સ્થળ બન્યોછે. આ રજાના દિવસોમાં દ્વારિકાના શીવરાજપુર બીચ ખાતે ૨૮ ઓગસ્ટના રોજ ૩,૧૦૦ પ્રવાસીઓ ૨૯ ઓગસ્ટના રોજ ૮,૭૬૪ અને ૩૦ ઓગસ્ટના રોજ ૯,૫૦૦ એમ કુલ ૨૧,૩૬૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.