મુળી અને કુકરમુંડાની ITIનું લોકાર્પણ કરાયું, 400 બેઠકનો થયો વધારો
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની ITI મુળી અને તાપીની ITI કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
આશરે રૂપિયા 16 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત ITI ભવનના લોકાર્પણ પ્રસંગે કુકરમુંડા ખાતે શ્રમ અને કૌશલ્ય રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મુળી ખાતેથી વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ITI કુકરમુંડામાં 276 બેઠકો હતી, જેને હવે વધારીને 436 કરવામાં આવી છે. જ્યારે ITI મુળીમાં અગાઉ 240 બેઠકો હતી, તેને વધારીને 480 કરવામાં આવી છે.
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલા નવીન ITI ભવનોને મળીને ગુજરાત સરકારે ગત બે વર્ષમાં 11 અદ્યતન ITI ભવનનું નિર્માણ કર્યું છે.
એટલું જ નહીં, રાજ્યના વધુમાં-વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે ITIની બેઠકોમાં પણ વધારો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કીલ ઇન્ડિયા મિશન થકી ભારત ભવિષ્યમાં ગ્લોબલ સ્કિલ હબ બનશે, જેમાં ગુજરાતના અનેકવિધ નવતર પ્રયાસોનો મહત્વપૂર્ણ ફાળો રહેશે.
ગુજરાતમાં દેશની પ્રથમ નવી ટેકનોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે નવા અને અદ્યતન અભ્યાસક્રમો ધરાવતી કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે.
આ સાથે જ, સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા રાજ્યની 558 જેટલી ITIમાં 54થી વધુ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતનો યુવાન ક્યાય પાછો ન પડે તે માટે રાજ્ય સરકારે અનેક નવી વ્યવસ્થાઓ કરી રહી છે.
શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે, ગત 20 વર્ષ દરમિયાન વિશ્વના 500 પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી 100 જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે.
આ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યવાન માનવબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે કેટલાક ઉદ્યોગો સાથે MoU કરીને સ્થાનિક યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડી છે.
આવા નવતર અભિગમોના પરિણામે ગુજરાતના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. આ સાથે જ, રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગાર પૂરો પાડવામાં આજે ગુજરાત દેશમાં પ્રથમ છે.
આ કાર્યક્રમ દરમિયાન કુકરમુંડા અને મુળી ખાતે સંસદ સભ્સ સર્વ પ્રભુભાઈ વસાવા, ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીત સહિતના પદાધિકારી-અધિકારીઓ તેમજ ગાંધીનગર ખાતેથી શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ વિનોદ રાવ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
