નહેરૂ-ગાંધી પરિવારને ગુજરાતી નેતાઓ ગમતા નથી : નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ 11 વર્ષ શાસન કરવાનો રેકોર્ડ રચનારા નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટુડેના મેનેજિંગ એડિટર એસ.પ્રસન્નરાજન સાથે કરેલી વાતચીતમાં આ મુદ્દો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે "ઈતિહાસ સાક્ષી છે કે નહેરૂ અને ગાંધી પરિવારને ગુજરાતના નેતાઓ કાયમથી પસંદ નથી આવ્યા. આ પરિવાર સરદાર પટેલ સાથે ખરાબ રીતે વર્ત્યો, મોરારજી દેસાઈ સાથે ખરાબ રીતે વર્ત્યો, હવે મારો વારો છે, અને હું તેમના નિશાન પર છું."
નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આઉટ ઓફ ધ બોક્સ વિચારવામાં માને છે. ગુજરાતને વિશ્વના સૌથી વિકસિત દેશોની હરોળમાં મૂકી શકાય તેવો વિકાસ કરવા માંગે છે. આ માટે ગુજરાતના દરિયાકિનારાના ટાપુઓને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની ઇચ્છે છે.
વિકાસની વાત સાથે તેમણે એફડીઆઇનો મુદ્દો સાંકળતા જણાવ્યું કે ખેતી બાદ નાની દુકાનો એ રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત છે. એફડીઆઈ તેને પતાવી દેશે. આનાથી આપણી મેન્યુફેક્ચરીંગ ક્ષમતાને પણ હાનિ પહોચશે. હિંદુસ્તાનના અર્થતંત્રને એફડીઆઈ કોઈ મદદ નહીં કરી શકે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા પણ અમેરિકાની નોકરીઓ અમેરિકાથી બહાર જવા દેવાના હિમાયતી નથી.
રાજકારણ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની સ્થિતિ અંગે મોદી કહ્યું કે પોતે હિંદુ વોટબેન્ક અને મુસ્લિમ વોટબેન્ક કે લઘુમતિ વોટબેન્ક એવા વોટબેન્કના રાજકારણમાં માનતા નથી. છ કરોડ ગુજરાતીઓ જ તેમનું પરિવાર છે. જેઓ ભાજપને મત નહીં આપે તેઓ પણ પરિવારના જ સભ્યો છે. લોકોનો એટલો બધો પ્રેમ મારી ઉપર છે કે તેમની આકાંક્ષાઓ પૂરી કરવી એ એક પડકાર છે.