મોદી પાદરામાં: ફરી ઉઠાવ્યો પાકિસ્તાન અને ગુજરાતનો મુદ્દો
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કલોલ ખાતેની પોતાની સભામાં એવું કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા જે ફંડ મળે છે તેનો રાજ્ય સરકાર ક્યા ઉપયોગ કરે છે. મોદીએ તેમના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે 'તમારી યુપીએ સરકાર જો પહેલાની ટકાવારી પ્રમાણે ગ્રાંટ આપતી હોય તો દર વર્ષે ગુજરાતને 8,000 કરોડની ગ્રાંટ મળવી જોઇએ, પણ તમારી સરકારે ગુજરાતને મળતી ગ્રાંટ ઘટાડી દીધી છે. સોનિયા મેડમ ખોટી વાતો કરી પ્રજાની આંખમાં ધૂળ શા માટે નાખો છો?'
મુખ્યમંત્રીએ વધુ પ્રહારો કરતા જણાવ્યું કે 'સોનિયા મેડમ એમ કહે છે કે ગુજરાતની જનતાને વીજળી નથી મળતી. અહી કોઇ એવો વ્યક્તિ છે જેના ઘરે જનરેટર રાખવાની જરૂર પડી હોય? અરે મેડમ તમે જ્યાં દિલ્હીમાં રહો છો ત્યાં પણ 8 કલાક વીજળી નથી મળતી, જનરેટરની જરૂર તમને અને મનમોહનસિંહના ઘરમાં પડે છે. અને તમે એવા જુઠ્ઠાણાં ફેલાવો છો કે ગુજરાતને વીજળી દિલ્હી સરકાર આપે છે. તમે ભૂલથી 2002નું કે 2007નું કાગળીયું તો નથી લઇને આવી ગયાને? અરે અમને કેન્દ્રમાંથી વીજળી મળતી હતી તે તમે રાતોરાત કાપી દીધી હતી. અને અમે પૂછ્યું કે કેમ આમ કર્યું તો તમે એવું જણાવ્યું કે મુંબઇ એ દેશની આર્થિક રાજધાની છે, ત્યાં દેશવિદેશથી મોટા મોટા લોકો આવે છે ત્યા વીજળી ના પહોંચે તો દેશની શાખ શું રહે. એવું કહી તમે ગુજરાતને વીજળી બંધ કરી દીધી છે. '
મોદી ફરી એક વખત સર ક્રીકનો મુદ્દો ઉછાળતા જણાવ્યું હતું કે 'મે 12 ડિસેમ્બરે પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો તેમાં ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે આવેલા સર ક્રિક વિસ્તારને પાકિસ્તાનને નહીં સોપી દેવા લખ્યું હતું. તેનો અને હજી સુધી વડાપ્રધાને જવાબ આપ્યો નથી. આ સરક્રિક એ મારા કચ્છને અડીને આવેલો વિસ્તાર છે જેને કોંગ્રેસ પાકિસ્તાનને આપી દેવા તૈયાર થઈ છે. અને કચ્છ એ મારા જીગરનો ટૂકડો છે. તેને હું પાકિસ્તાનને આપવા નહીં દઉ.'
મોદીએ જણાવ્યું કે મને મીડિયા થકી જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના ગૃહમંત્રી ભારત આવી રહ્યા છે, મારો અંદાજ સાચો હતો મિત્રો કે આ દિવસોમાં આ આવું કઇંક થવાનું છે, હું દિલ્હીસરકારને આહ્વાન કરું છું કે તેઓ જવાબ આપે કે 'અમે એક પણ ઇંચ જમીન પાકિસ્તાનને નહીં આપીએ.'
મોદીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ સરકારે મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. પરં તેમણે મોઘવારી ઉલટાની વધારી છે. અને તેમણે પોતાના ભાષણમાં મોઘવારીનો શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ગઇકાલે થયેલા મતદાનને જોઇને હું દાવા સાથે કહું છું કે ગુજરાતમાં પંજો સાફ કરી દઇશું.
પાદરાની જનતાને મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે મહીસાગરની દયાથી જીવી રહ્યા છીએ. અહીંની જમીન દિવસેને દિવસે ખારાસવાળી થતી જાય છે. આવનારા દિવસોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી આ જમીનને ખારાસમૂક્ત કરીશું, આ મારું વચન છે.
મોદીએ જણાવ્યું કે મારા ગુજરાતની જનતા રૂપિયા તો પહેલા પણ આપતી હતી. પરંતું ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓએ પોતાના કિસ્સા જ ભર્યા છે. આજે ગુજરાતમાં દરેક દિશામાં વિકાસનું કામ થઇ રહ્યું છે. અને મારી આગળપાછળ કોઇ નથી, મારે તો જમાઇ પણ નથી, તો મારે ભ્રષ્ટાચાર કરવાની જરૂર છે?