નરેન્દ્ર મોદીએ સુરતની એનીને રક્તવિકારના ઉપચાર સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા
સુરત, 23 એપ્રિલ : સુરતની યુવતિ ઍની શેરોન ડેનિયલના 'રક્તવિકારના ઉપચારમાં વિટામિન-કેના ધટકોના વિનિયોગ' અંગેના રીસર્ચ પેપરની નેધરલેન્ડની આમ્સ્ટડેમ સ્થિત આંતરરાષ્ટ્રીય રક્તશાસ્ત્ર કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એનીને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક પત્ર દ્વારા એક ગુજરાતી વૈજ્ઞાનિક યુવતિએ હાંસલ કરેલી આ સિદ્ધિની સરાહના કરી, તેનું આ સંશોધન પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવરૂપ હોવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિકસ્તરે ઝળહળતો દેખાવ કરીને તમે આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતનુ઼ ગૌરવ વધાર્યું છે. તમારી આ સિદ્ધિ બદલ હું હાર્દિક અભિનંદન આપું છું અને ભવિષ્યમાં નૂતન સિદ્ધિઓના સોપાન સર કરવા અંતરના આશીર્વાદ આપું છું.
સુરતમાં શાળાકીય અભ્યાસ કરીને લંડનમાં અનુસ્નાતકની પદવી મેળવીને લંડનની વિખ્યાત સેંટ થોમસ હોસ્પિટલમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતી આ યુવતિએ સૂક્ષ્મ સંશોધન અને ભારે જહેમતપૂર્વક તૈયાર કરેલા 'આઇડેન્ટીફિકેશન ઓફ બ્રોડીફેકમ એક્સપોઝર એન્ડ સબસિક્વન્ટ મોનિટરિંગ ઓફ ટ્રીટમેન્ટ એન્ડ રીકવરી યુઝિંગ ફંકશનલ માર્કર્સ ઓફ વિટામિન-કે' વિષય પરના રીસર્ચ પેપરની નેધરલેન્ડની ઈન્ટરનેશનલ સોસાયટી ઓન થ્રોમ્બોસિસ એન્ડ હિમોસ્ટેટિસ, આમ્સ્ટર્ડમની 24મી કોંગ્રેસમાં પસંદગી કરવામાં આવી છે.
સંસ્થાની સાયન્ટિફિક પ્રોગ્રામ કમિટી દ્વારા આ રીસર્ચ પેપરને મંજુરીની મહોર મારી ઍની શેરોનને 29 જુન, 2013ના રોજ તેમના પેપર પ્રેઝન્ટેશન માટે ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. સુરતની સર જે.જે.હાઈસ્કૂલ અને સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને લંડનની કિંગસ્ટન યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કરીને તેણે અગાઉ પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારના સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટી અને શિક્ષિકા માતા અંજના ક્રિસ્ટીની આ પુત્રી બાળપણથી જ ઝળહળતી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે.