Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કૃષિ મોલ બાદ હવે સુરત વર્ચ્યુઅલ મોલનું સપનું સાકાર કરશે : નરેન્દ્ર મોદી

સુરત, 12 જૂન : આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં નવી જવાબદારી મેળવ્યા પછી બુધવારે પહેલીવાર સુરતમાં આવ્યા હતા. તેમણે સુરત ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ દ્વારા સુરતના સહારા દરવાજા ખાતે અદ્યતન એવા કૃષિ ઉત્પાદનોના જથ્થાબંધ તેમજ રીટેલ વેચાણ માટેના કૃષિ બાઝારનું લોકાર્પણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીનું ભાષણ :
મેઘરાજાએ સુરતમાં ઘડબડાટી બોલાવી હતી જેના કારણે સ્થળ બદલવું પડ્યું હતું. મેઘરાજાનું કામ નવો જન્મ આપવાનું છે. મેઘરાજાએ આ વર્ષે વહેલું આગમન કરી ખેડૂતોને આશીર્વાદ આપ્યા છે. આ દેશનો ખેડૂત મહેનત કરવામાં કચાશ રાખતો નથી.

મારે સૌથી પહેલા મીડિયાના મિત્રોનો આભાર માનવો છે. ટીવીમાં મેં આ મોલ બાબતના સમાચાર જોયા. આ દેશને પણ ખબર પડે કે ભારતમાં આવી ઉત્તમ સેવાઓ આપવી શક્ય છે. અહીં ખેડૂત અને ગ્રાહકને સીધે સીધા જોડવાનું કામ આ એગ્રી મોલે કર્યું છે. સુરતી લોકોને લાભ જ લાભ છે. મોલમાં એક આખો ડિપાર્ટમેન્ટ ઊંધિયું બનાવવાની જ સામગ્રીથી ભરેલો હતો. તેની ગુણવત્તા અને જાળવણી સારી છે.

narendra-modi-krishi-bazaar-surat

ગ્રાહકના ઘરે પહોંચે ત્યાં સુધી તાજું રહે તેવી સુવિધા અને કિંમતમાં વ્યાજબી હોય તેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બજારમાં જે માલ 15 રૂપિયાનો હશે તે અહીં 10 રૂપિયામાં મળી રહેશે. લોકોના લાભની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચે છે, તેની સાથે તે ગ્રાહક પણ છે. તે ઘઊં - ચોખા તો પકવે પણ તેને ઘરમાં તેલ, મરચું, મીઠું તો જોઇએને. આવી વસ્તુઓ પણ અહીં વાજબી કિંમતે ઉપલબ્ધ બનશે.

અહીં ખેડૂતોનો માલ દલાલો વગર વેચાશે. ઓછા ભાવે જથ્થાબંધ ખરીદનારાઓને પણ મોટો ફાયદો થશે. આ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશની સરકારે ભ્રષ્ટાચારની જેમ વધતી મોંઘવારીની ચિંતા કરી નથી. આજથી અઢી વર્ષ પહેલા મોંઘવારીનો હોબાળો જોઇને વડાપ્રધાને એક મીટિંગ બોલાવી એક કમિટીનું કામ મને સોંપ્યું હતું. મેં એમને ખૂબ ઓછા સમયમાં આખો રિપોર્ટ આપી, જેમાં પગલાં લઇ શકાય તેવા 64 મુદ્દાઓ અલગ તારવ્યા.

મને લાગે છે કે હવે ભારત સરકારે આ અહેવાલ શોધવા એક સમિતિ બનાવવી પડશે. મેં તેમાં એક સૂચન એવું કર્યું હતું કે એફસીઆઇ (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)નું વિભાજન કરવાની આવશ્યકતા દર્શાવી હતી. અમારી કમિટીએ એફસીઆઇને ત્રણ ભાગમાં વહેંચવાનું સૂચન કર્યું. એક ભાગ ખરીદવાનું કામ, બીજો ભાગ તેને સાચવવાનું કામ અને ત્રીજો ભાગ તેના વિતરણનું કામ કરે. આપણે ત્યાં પહેલા વીજળીનું પણ આવું જ હતું. આપણે તેના ભાગ કરી તેમાં પ્રોફેશનાલિઝ્મ લાવ્યા. આજે આપણે જરૂર કરતા વધારે વીજળી ઉત્પન્ન્ કરતા થયા છીએ.

ભારતની સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું છે કે જે અનાજ સડી રહ્યું છે તે ગરીબોમાં વહેંચી દો. પણ સરકારે સુપ્રીમ કોર્ટની વાત માની નહીં. વોટ મેળવવા માટે ખેલ કરવાના ખરા, પણ અમલ નહીં કરવાનો. અનાજ સડી ગયું પછી તેમણે તે અનાજ દારૂ બનાવનારાઓને 0.65 પૈસા પ્રતિ કિલોના ભાવે વેચી દીધું. ગરીબના પેટની તેમને ચિંતા નથી.

વર્ચ્યુઅલ મોલનો પ્રયોગ સુરતમાં થશે

સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીએ આધુનિક વિકાસની દિશામાં પગલું ભર્યું છે. અહીં ઓગ્રેનિક ખાદ્યનો અલગ વિભાગ છે. અનાજ, ફળ, ફુલ, શાકભાજી અને વેજીટેબર કલર્સવાળા કપડાં પણ અહીં ઉપલબ્ધ છે. ગુણવત્તા કેવી રીતે સુધરે તેની તરફ ગુજરાતના ખેડૂતોએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. મોલનું નિરીક્ષણ કર્યા બાદ મેં તેમને ત્રણ ચાર સૂચનો કર્યાં છે. તેમાં વજનમાં છેતરપિંડી નહીં ચાલે. આ ઉપરાંત ફ્રી હોમ ડિલિવરી પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. આ ઉપરાંત સુરતમાં એક વર્ચ્યુઅલ મોલ શરૂ કરવાનું પણ સૂચન કર્યું છે. વર્ચ્યુઅલ મોલમાં ઘરેથી કોમ્પ્યુટર કે લેપટોપથી વર્ચ્યુઅલ મોલમાં જઇને ખરીદી કરે એવી વ્યવસ્થા ઉભી કરવાનું જણાવ્યું છે.

શાળા પ્રવેશોત્સવ :
આવતીકાલે 13 તારીખ છે. તારીખ 13, 14 અને 15 જૂન, 2013 સમગ્ર ગુજરાતમાં શાળાપ્રવેશોત્સવ શરૂ થઇ રહ્યો છે. ગરીબ બાળક શાળાએ જઇ ના શકે તો તેની ચિંતા આપણે જ કરવાની છે. ગુજરાત સરકારે જે અભિયાન શરૂ કર્યું છે તેનું શુભફળ આપણને આજે જોવા મળી રહ્યું છે. સુરતની ધરતી પરથી સમગ્ર ગુજરાતના વ્હાલા ભાઇ બહેનો અને વાલીઓને આગ્રહ કરું છું કે આપણે સૌ વિદ્યાદાનમાં સહભાગી બનીએ. સમય આપીએ. આપણા ઘરે કામ કરનારાઓ કે આસપાસના ગરીબ લોકોને પૂછીએ કે તમારા બાળકો શાળાએ તો જાય છેને. તેમને વિશ્વાસ આપીએ અને તેમના બાળકોને શાળાએ મોકલતા કરીએ. તેમનું બાળક ભણશે તો તેમની ગરીબી ઘટવાનું પ્રમાણ વધશે. ગરીબી ઘટશે તો સમૃદ્ધિ વધશે અને તેનો લાભ આપણને જ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી :
આપણે સરદાર પટેલનું ઊંચામાં ઊંચું સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે. અમેરિકામાં જેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે તેમ ગુજરાતમાં સરદાર પટેલનું બાવલું તેનાથી બમણું ઊંચું હશે. સરદાર પટેલે દેશને એક કરવાનું કાર્ય કરીને એકતાનું ભગીરથ કાર્ય કરીને રાષ્ટ્ર માટે ઉમદા કાર્ય કર્યું છે. આ કારણે આપણે તેનું નામ 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' રાખ્યું છે. આપણે આ શુભ કાર્ય 30 ઓક્ટેબર, સરદાર પટેલ જયંતિથી કરવા માંગીએ છીએ. આ પણે આ કાર્ય ભાગીદારીથી કરવા માંગીએ છીએ. અમારી લાગણી છે કે ભારતના દરેક ગામડાંમાંથી, ખાસ કરીને ખેડૂતોને વિનંતી છે, કેમ કે સરદાર પોતે ખેડૂત હતા, તેથી ગામડાંનો ખેડૂત ખેતરમાં જે ઓજાર વાપર્યું હોય, તેવું એક ગામ એક ઓજાર ભેટમાં આપશે.

સરદાર લોહપુરુષ હતા. તેમણે દેશની કરોડોની જનતાની લાગણી વ્યક્ત કરી છે. આથી આપણે લોખંડનું ઓજાર એકત્ર કરવું છે. આ ઓજારોને અહીં ઓગાળવામાં આવશે અને પ્રોજેક્ટમાં જ્યાં જેટલી જરૂર હશે ત્યાં તેનો ઉપયોગ થશે. આમ ભારતનું દરેક ગામ કહી શકશે તે આ સ્ટેચ્યુના નિર્માણમાં અમારી પણ ભાગીદારી છે. ખેડૂતોની ભાગીદારીથી આ ભવ્ય નિર્ણાણ વિશ્વની અજોડ ઘટના હશે.

કૃષિ બજારની ખાસિયત :

સુરતમાં રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ એગ્રીકલ્ચર મોલ દેશનો સૌપ્રથમ કૃષિ મોલ છે. આ અંગે માહિતી આપતા સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ જણાવ્યું છે કે "કૃષિ સમૃધ્ધિ એ જ આર્થિ‌ક સમૃધ્ધિની અવિરત આગેકૂચ'ના સૂત્રને સાર્થક કરવા કૃષિ બાઝારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મોલમાં ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને જ શાકભાજી વેચવામાં આવશે તેમજ તેમના દ્વારા આ સ્થળ પરથી પોતાના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવી હોય તો તેની પણ સુવિધા તેમને મળી રહેશે. ચાર બેન્કોની શાખાઓ પણ આ સ્થળે કાર્યરત થશે અને વિદેશ વેપાર માટેની પાયાની આવશ્યકતા અને તેની જાણકારી માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X