નરેન્દ્ર મોદીએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા
મોદીએ જણાવ્યું કે 'દિવાળીનો તહેવાર હજ્જારો વર્ષોથી આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે, શ્રી રામ વિજયી બનીને અયોધ્યા પાછા ફર્યા એની યાદમાં તેને મનાવવામાં આવે છે. અંધકારથી પ્રકાશ તરફ પાછા ફરવાની આ ઉજવણી છે, અને આસૂરી શકિ્ત પર દૈવી ગુણોનાં વિજયનો તહેવાર છે.'
તેમણે લોકોને આહ્વાન કર્યુ કે 'આપણે પ્રાર્થના કરીએ કે આપણા દેશ પર દૈવી પ્રકાશરૂપ આશિષ ઉતરે અને દેશ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવી મુસીબતોમાંથી બહાર આવે. અને તો જ દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ ગરીબીની બેડીઓમાંથી મુક્ત થશે અને આપણી વિકાસયાત્રાનો અભિન્ન અંગ બની શકશે.'
મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ભારત બહાર પણ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર હવે વૈશ્વિક બની ચૂક્યો છે અને દુનિયાભરનાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.' પરિવાર સાથે આનંદથી દિવાળી ઉજવણી કરવા અને દિવાળીની ઉજવણીરૂપે ફટાકડા ફોડતી વખતે સલામતીનો પણ પૂરતો ખ્યાલ રાખવા પણ નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી.