7મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન નરેન્દ્ર મોદી કરશે : આનંદીબેન પટેલ
નવી દિલ્હી, 27 ઓગસ્ટ : ગુજરાતમાં જાન્યુઆરી 2015માં યોજાનારી સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015નું ઉદઘાટન ખુદ વડાપ્રધાન અને વાઇબ્રન્ટ ગુજરાતને બીજમાંથી વટવૃક્ષ બનાવનારા નરેન્દ્ર મોદી કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં યોજાશે. આ અંગેના માહિતી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે નવી દિલ્હી ખાતે આપી હતી.
આજે દિલ્હીમાં હોટલ તાજ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015નું કર્ટેઇન રેઝર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમિટમાં ભાગ લેવા માટે ભારતના જાણીતી ઉદ્યોગને આમંત્રણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કુલ 7 દેશો ભાગીદાર બન્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ સમિટ 11, 12 અને 13 જાન્યુઆરી, 2015ના રોજ યોજાશે.
વાઇબ્રન્ટ ગુજરાતની સાતમી આવૃત્તિમાં 1,25,000 ચોરસ મીટરનો એક્ઝિબિશન એરિયા હશે. તેમાં 2,000થી વધારે કંપનીઓ ભાગ લેશો. આ એક્ઝિબિશનમાં 2500 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે અને લાખો મુલાકાતીઓ તેની મુલાકાત લેશે.
આ વર્ષે સમિટમાં આઠ થીમ સેમિનાર યોજાવાના છે. જેમાં સ્માર્ટ સિટી, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીસ હબ ફોર ડિફેન્સ પ્રોડક્શન, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર, વોટર મેનેજમેન્ટ, હેલ્થ, સસ્ટેનેબલ એન્વાયર્નમેન્ટ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો સમાવેશ થાય છે.