નરેન્દ્ર મોદી 9મી ડિસેમ્બરે 8 સભાઓ ગજવશે
નરેન્દ્ર મોદી સવારે 9.00 કલાકે પંચમહાલ જીલ્લાના પ્રતાપપુરા મેદાન, સંતરામપુર ખાતેથી પોતાનો ઝંઝાવાતી પ્રવાસ જાહેરસભા સંબોધી પ્રારંભ કરશે અને અંતિમ સભાને અમદાવાદમાં સંબોધન કરશે.
મોદી સંતરામપુરથી જાહેરસભા સંબોધી 10.15 કલાકે દાહોદ જીલ્લાના સંજેલીમાં, 11.30 કલાકે વડોદરા જીલ્લાના પાવી જેતપુરમાં બજાર સમિતિ મેદાન ખાતે જાહેરસભાને સંબોધશે. તેઓ 12.55 કલાકે ભરૂચ જીલ્લાના વાગરા ખાતે એ.પી.એમ.સી. મેદાનમાં, 2.15 કલાકે નર્મદા જીલ્લાના સેલમ્બા, સાગબારામાં સભાને સંબોધશે.
મુખ્યમંત્રી મોદીના ૯ ડિસેમ્બરે બપોરે 3.50 કલાકે રામરોટી મેદાન સ્ટેડિયમ રોડ, વલસાડ ખાતે સભા સંબોધી સાંજે 6.00 કલાકે કોર્ટસાફીલ રોડ, સુરત ખાતે સભા સંબોધશે. મુખ્યમંત્રી ૯ ડિસેમ્બરના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જીલ્લા, સુરત મહાનગરમાં સભા સંબોધી અંતિમ સભા અમદાવાદમાં સંબોધશે.
ઉલ્લેખનીય છે કેગુજરાતમાં ભાજપ ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને યુવા નેતા રાહુલ ગાંધીએ પંજો લડાવવાની તૈયારી કરી લીધી છે. આગામી ત્રણ દિવસમાં તેઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવી પહોંચવાના છે. આ ત્રણે નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે તારીખ 9, 10 અને 11 ડિસેમ્બર, 2012ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે.
સોનિયા ગાંધી 10 ડિસેમ્બરે સિદ્ધપુર, જિલ્લો પાટણમાં અને સેવાલીયા -ઠાસરા, જિ.ખેડામાં ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ ૯ ડિસેમ્બર, ર૦૧રના રોજ વાંસદા, જિ. નવસારીમાં ચૂંટણી સભા સંબોધશે.