નરેન્દ્ર મોદી ગુજરાતની 33 બહેનો સાથે દિલ્હીમાં રક્ષા બંધન ઉજવશે
અમદાવાદ, 5 ઓગસ્ટ : રક્ષા બંધન નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની બહેનોને તેમનો મોટો ભાઇ નરેન્દ્ર મોદી યાદ આવી રહ્યો છે. છેલ્લા 14 વર્ષથી દર વર્ષે રક્ષા બંધનના દિવસે અનેક બહેનો નરેન્દ્ર મોદીન રાખડી બાંધવા આવતી હતી. આ વર્ષે નરેન્દ્ર મોદી દિલ્હીમાં વડાપ્રધાન બન્યા છે ત્યારે શું કરવું તેની મુંઝવણ છે. જો કે નરેન્દ્રભાઇ મોદીએ તેમની ગુજરાતની બહેનોની લાગણીનો બરાબર ખ્યાલ રાખ્યો છે. તેમણે ગુજરાતની બહેનોની લાગણી અને તેમની પ્રાર્થના પહોંચે તે માટે દિલ્હીમાં ખાસ કાર્યક્રમ યોજ્યો છે.
હવે વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી આ વર્ષે રક્ષાબંધન ગુજરાતની બહેનો સાથે જ ઉજવવાના છે. આ માટે ગુજરાત ભાજપે ખાસ વ્યવસ્થા કરી છે. ભાજપ દસમી ઓગસ્ટે આવી રહેલા રક્ષાબંધનના દિવસે ગુજરાતના 33 જિલ્લામાંથી એક- એક બહેનને દિલ્હી મોકલશે. આમ કુલ તેત્રીસ બહેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી નિવાસ સ્થાન 7, રેસકોર્ષ રોડ ખાતે તેમને રાખડી બાંધશે.

ગુજરાતની બહેનો સાથે રક્ષાબંધન ઉજવવાની પ્રણાલી નરેન્દ્ર મોદી તોડવા માગતા નથી. આથી જ જ્યારે ગુજરાત ભાજપના મહિલા મોરચાએ આ ઇચ્છા તેમની પાસે વ્યકત કરી ત્યારે તેમને તરત જ હા પાડી દીધી હતી.
અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે ગુજરાત ભાજપ મહિલા મોરચાની ઇચ્છા એવી હતી ભાજપની તેત્રીસ બહેનો વડાપ્રધાનને રાખડી બાંધે. જો કે આ બાબતે પીએમઓમાથી એવું સૂચન મળ્યું છે કે દરેક જિલ્લાના અનાથાશ્રમ સાથે સકંળાયેલી બહેનોને જ રાખડી બાંધવા માટે મોકલવામાં આવે.
નરેન્દ્ર મોદીનાં સગા બહેન દિલ્હીમાં રાખડી બાંધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગા બહેન વાસંતીબેન પણ ભાઇને દિલ્હી જઇને રાખડી બાંધવાના છે. વાસંતીબહેને પોતાનું શેડયુલ જાહેર કર્યું નથી. તેઓ આ બાબતને અંગત ગણાવે છે. તેમની ઇચ્છા એવી છે કે જો શકય હોય તો એક દિવસ ભાઇના ઘરે રોકાવું. જો કે આનાથી વિશેષ વાત કરવાની વાસંતીબહેને ના પાડી હતી.












Click it and Unblock the Notifications
