આજે નરેન્દ્ર મોદી સુરતમાં કૃષિ મોલનું ઉદઘાટન કરશે
આ અંગે માહિતી આપતા સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ જણાવ્યું છે કે "કૃષિ સમૃધ્ધિ એ જ આર્થિક સમૃધ્ધિની અવિરત આગેકૂચ'ના સૂત્રને સાર્થક કરવા સાથે રિંગ રોડ સહરા દરવાજા ખાતે ખેત ઉત્પાદનનો રીટેલ મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મોલમાં ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને જ શાકભાજી વેચવામાં આવશે તેમજ તેમના દ્વારા આ સ્થળ પરથી પોતાના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવી હોય તો તેની પણ સુવિધા તેમને મળી રહેશે. ચાર બેન્કોની શાખાઓ પણ આ સ્થળે કાર્યરત થશે અને વિદેશ વેપાર માટેની પાયાની આવશ્યકતા અને તેની જાણકારી માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે."
આ કાર્યક્રમમાં હાજર રહેવા રાષ્ટ્રીય રાજકારણમાં આ નવી જવાબદારી પછી મોદી બુધવારે પહેલીવાર સુરતમાં આવી રહ્યાં છે. તેમનું રેડકાર્પેટ સ્વાગત કરવા માટે શહેર ભાજપે તૈયારી આરંભી દીધી છે. એરપોર્ટ ઉપર જ ભવ્ય કાર્યક્રમ યોજવાની સાથે હજારો યુવાનોની બાઈક રેલી કાઢવાનું પણ નક્કી કરાયું છે.
શહેર ભાજપના વર્તુળોના કહેવા પ્રમાણે બુધવારે મોજી એરપોર્ટ ઉપર આવશે. ત્યાં જ તેમનું 10થી 15 હજાર લોકોની હાજરીમાં જાહેર અભિવાદન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે. તદુપરાંત મુખ્યમંત્રી એરપોર્ટ ઉપરથી રવાના થાય તે પહેલાં ત્યાંથી 2500 યુવાનોની બાઇક રેલી પણ રવાના કરાવાશે.