સિદ્ધૂની ગુજરાતમાં આક્રમક બેટીંગ, કેશુભાઇને પણ 'ધોઇ' નાખ્યાં
નવજોત સિંહ સિદ્ધૂ એક જ રેલીમાં પોતાનો જૂનો હિસાબ ચૂકતાં કરવાના ઇરાદાથી આવ્યાં હતા. નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જે પણ કહેવામાં આવ્યું હતું તેનું વ્યાજ સહિત પાછું આપવા માંગતાં હતા. નવજોત સિંહ સિદ્ધૂએ કેશુભાઇ પટેલ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કેશુભાઇ પટેલે પાર્ટીની પીઠમાં છરો ભોંક્યો છે, અને પાર્ટીને દગો આપ્યો છે. અરે જે પાર્ટી પોતાની મા સમાન પાર્ટીનો ના થયો તે તમારો શું થશે.
તેમને કહ્યું હતું કે 'આ ચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રીની નથી પરંતુ ભારતના વડાપ્રધાનની છે. કેન્દ્ર સરકારના પાપે આખો દેશ અંધકારમય થઇ ગયો છે. પરંતુ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે જગમગી રહ્યું છે. એક જ માણસ છે જે દેશને ઉગારી શકે છે, દેશને નવી દિશા આપી શકે છે તે છે નરેન્દ્ર મોદી. અત્યારે દેશ મનમોહન સિંહની સરકાર છે પણ તે અસરદાર નથી. જ્યારે નરેન્દ્ર મોદી સરદાર પણ છે અને અસરદાર પણ છે. નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જેના માટે 'સરદાર' શબ્દ સુટ થાય છે. નરેન્દ્ર મોદી આજે ગુજરાતનું સફળ નેતૃત્વ કરી રહ્યાં છે અને તેમનામાં આખા દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે.
નવજોત સિંહ સિદ્ધૂએ અહીંયા પણ એક જૂનો જોક્સ સંભળાવ્યો હતો જેને સાંભળીને લોકો પેટ પકડીને હસ્યાં હતા. 'એકવાર મનમોહન સિંહ, કુંવરજી બાવળિયા, શક્તિ સિંહ ગોહિલ અને ભાજપના ઉમેદવાર માણિયા સાહેબ ક્યાંક જઇ રહ્યાં હતા ત્યારે મનમોહન સિંહે કહ્યું કે જો હું વિમાનમાંથી સો રૂપિયાની નોટ નીચે ફેંકુ તો એક વ્યક્તિનો વિકાસ થઇ જશે.
ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હું પચાસ-પચાસની બે નોટ નીચે ફેંકું તો બે વ્યક્તિનો વિકાસ થશે. બંનેની વાત સાંભળીને કુંવરજી બાવળિયા બોલ્યા જો આની જ્ગ્યાએ હું એક-એક રૂપિયાના 100 સિક્કા નીચે ફેંકુ તો સો લોકોનું ભલું થશે. આ ત્રણેયની વાત સાંભળીને માણિયા સાહેબ બોલ્યા જો હું આ ત્રણેયને પ્લેનમાંથી નીચે ફેકું તો આખા બોટાદનું ભલું થશે. કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું હતું કે 'કોંગ્રેસ તો શીલા અને મુન્ની કરતાં પણ વધારે બદનામ છે. જ્યારે આ બદનામ કોંગ્રેસ આગળ નરેન્દ્ર મોદી ખૂબ જ ઇમાનદાર વ્યક્તિ છે. માટે તેમને વિજય બનાવો. 'નરેન્દ્ર મોદી જીતેગા, તો દેશ જીતેગા.'