રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત, ગણેશોત્સવ માટે સરકારે કરી મોટી જાહેરાત
રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને 8 મહાનગરપાલિકામાં લાગુ રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. રાત્રિ કરફ્યૂ રાત્રિના 11 થી સવારના 6 કલાક કરવામાં આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને 8 મહાનગરપાલિકામાં લાગુ રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. કોવિડ કંટ્રોલ માટે બનાવવામાં આવેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાત્રિ કરફ્યૂ જે પહેલા રાત્રિનો અમલ 10 થી સવારના 6 કલાક સુધી હતો, જેમાં એક કલાકનો ઘટાડો કરીને રાત્રિના 11 થી સવારના 6 કલાક કરવામાં આવ્યા છે. આ સાથે હોટલ અને રેસ્ટોરા ગ્રાહકો સાથે રાત્રિના 10 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. આ નિર્ણયની અમલવારી 31 જુલાઇથી થશે.
આગામી સમયમાં આવી રહેલા તહેવાર અંગે પણ કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગણેશ ચર્તુર્થી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં બાંધવામાં આવેલા પંડાલમાં સ્થપાયેલા ગણપતિની મુર્તિની ઉંચાઇ 4 ફૂટથી વધુ હોવી જોઇએ નહીં. સરકારે જણાવ્યું હતું કે, જેમના ગણપતિની પ્રતિમાની ઉંચાઇ 4 ફૂટ કરતા ઓછી છે, તેમને જ ગણેશોત્સવમાં પંડાલ બાધવાની મંજૂરી આપવામાં આવશે.
હાલ ખૂલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં 200 લોકોને જોડાવાની છૂટ છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય બાદ 31 જુલાઇ બાદ ખૂલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં 400 લોકો ભાગ લઇ શકશે. આ સાથે હોલ કે બંધ જગ્યાઓમાં આયોજિત થતા કાર્યક્રમોમાં બેઠક ક્ષમતાના 50 ટકા લોકો જોડાઇ શકશે, જેમાં પણ 400થી વધુ લોકો જોડાઇ શકશે નહીં. આ સાથે જાહેર સમારોહ તેમજ કોઇપણ કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ ફરજિયાત છે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.