નીતિન પટેલના 21 ફેબ્રુઆરીના બજેટમાં રાખશે આ વાતોનું ખાસ ધ્યાન
નાણાં પ્રધાન નીતિન પટેલ રજૂ કરશે 21મી તારીખે બજેટ. જાણો કયા મુદ્દાઓ આ બજેટમાં આવરવામાં આવશે.
ગુજરાતનું બજેટ, રૂપાણી સરકારના નાણાંપ્રધાન નિતીન પટેલ દ્વારા 21 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. નોંધનીય છે કે આ છેલ્લું બજેટ ગુજરાત વિધાનસભાના 20 ફેબ્રુઆરીથી શરૂ થતાં 40 દિવસીય બજેટ સત્રમાં રજૂ કરાશે. 21 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારનું વર્ષ 2017-18 માટેનું વાર્ષિક બજેટ રજૂ થશે. ડિસેમ્બર માસ દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હશે. નોંધનીય છે કે એકમાત્ર પૂર્વ નાણાંપ્રધાન વજુભાઈ વાળા દ્વારા સાતત્યપૂર્ણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. મુખ્યપ્રધાનમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યાં પછી, આનંદીબહેન પટેલ અને ત્યાર બાદ વિજયભાઈ રુપાણી મુખ્યપ્રધાન બન્યા છે. ત્યારે નાણાંપ્રધાન તરીકે નીતિનભાઈ પટેલ ત્યારબાદ સૌરભ પટેલ અને પુનઃ નિતીનભાઈ પટેલ પર બજેટની જવાબદારી આવી છે. આ બજેટ પછી અનેક રાજકીય અને નાણાંકીય ઉથલપાથલ થવાની છે તેને જાતો આ નાણાકીય શણગાર વચ્ચે ફૂલગુલાબી બજેટ હોવાની સંપૂર્ણ સંભાવના છે. તેમાં બે મત નથી.
વિરોધ પક્ષ
સત્તાધારી ભાજપ પક્ષ અને વિરોધ પક્ષ માટે બજેટ સત્ર પ્રેક્ષક વધારતું કાર્ય છે. વર્ષોથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસને ભાજપની જેમ વિરોધ કરતાં આવડી ગયો છે. તેથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર તોફાની બની રહેશે. ભાજપ હોય કે કોંગ્રેસ બન્નેમાં જૂથબંધી - ગમો અણગમો હોય છે તા. 20મીથી વિધાનસભા બજેટ સત્રમાં બધાજ ધારાસભ્યો સદનમાં ભેગા થશે. ત્યારે ચૂંટણી નજીક આવતા જ બોર્ડર લાઇન પર બેઠેલા ધારાસભ્યો પણ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો વારંવાર રજૂઆત કરતાં ન ઉકેલાતાં ગૃહમાં રજૂઆત કરી 'ધ્યાનકર્ષણ'ની રીતે અજમાવે છે. તેથી પ્રધાનોને પણ નીચા જોણું ન થાય તે રીતે સિફ્તપૂર્વક જવાબ આપી, વિપક્ષોના વાક્બાણ વચ્ચે રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે. કોણ કોની વહારે આવે છે, તે જોતાં જૂથબંધીનો ખ્યાલ આવે છે. ત્યારે આ બજેટમાં નીચે મુજબ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું મનાઇ રહ્યું છે.
પાંચ ખાનગી યુનિ. માટે વિધેયક રજૂ થશે
વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ બાદ 5 ખાનગી યુનિવર્સિટી સ્થાપના માટે વિધાનસભામાં બજેટ સત્રમાં વિધેયક લવાશે. કેડિલા ગ્રુપની ઇન્દ્રશીલ યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અમદાવાદમાં સ્થપાશે, જ્યારે ગાંધીનગરમાં ભોયણ ગામે વિનસ ગ્રુપની સ્ટાર્ટઅપ યુનિ. અને સુરતની પી.પી. સવાણી યુનિવર્સિટી સ્થપાશે.
અનામત વર્ગો
રાજ્યનું રાજકારણ થોડું ડહોળાયું છે. વિવિધ મુદ્દાઓ લઈને પાટીદાર, ઠાકોર સમાજ, દલિત વર્ગો દ્વારા આંદોલન ચાલી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં સત્તાધારી પક્ષમાં આધું પાછુ થવાની સંભાવના વધુ રહેતી હોય છે. આ બધું હેમખેમ પાર ઉતારવા માટે અનામત વર્ગોની ટકાવારી મુજબનું બજેટ માટે ગોઠવણ થઈ હોવાનું અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળે છે.
તેરમી વિધાનસભા-દસમું સત્ર
તા. 20મીથી તેરમી વિધાનસભાનું દસમુ સત્ર સોમવારથી શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ ઓ. પી. કોહલી સંબોધન કરશે. વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. વિધાનસભામાં બે બેઠક તા. 28 ફેબ્રુઆરી અને તા. 7 માર્ચના ના રોજ રહેશે. બાકી રજાઓ પણ ઘણી છે.