ગુજરાતમાં ઓમિક્રૉન કોરોના વાયરસના 4 કેસ, ભારતમાં આંકડો પહોંચ્યો 41 સુધી
દેશમાં હવે કોરોનાના ઓમિક્રૉન વેરિઅંટના કુલ કેસ વધીને 41 થઈ ગયા છે. હાલમાં મહારાષ્ટ્ર ઓમિક્રૉન માટે હૉટસ્પોટ છે. જાણો ગુજરાતમાં ઓમિક્રૉન કેસની સ્થિતિ.
અમદાવાદઃ દેશમાં હવે કોરોનાના ઓમિક્રૉન વેરિઅંટના કુલ કેસ વધીને 41 થઈ ગયા છે. હાલમાં મહારાષ્ટ્ર ઓમિક્રૉન માટે હૉટસ્પોટ છે. ગુજરાતમાં ઓમિક્રૉનથી સંક્રમિત વ્યક્તિ કેન્યા અને અબુ ધાબી થઈને 3 ડિસેમ્બરે દિલ્લી પહોંચ્યો હતો પરંતુ ત્યાં તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એરપોર્ટ પર તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ફરીથી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પૉઝિટિવી આવ્યો હતો. જિનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવતા તે ઓમિક્રૉનથી સંક્રમિત હોવાનુ જાણવા મળ્યુ હતુ.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાધીશોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ હતુ કે આ દર્દીઓ વેક્સીનના બંને ડોઝ લીધા છે અને તે નહિવત લક્ષણો સાથે હાલમાં ઘરમાં આઈસોલેશનમાં છે. હાલમાં મળતા સમાચાર મુજબ રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રૉનના પ્રથમ દર્દીનો એક રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ઝિમ્બાબ્વેથી પરત ફરેલા વૃદ્ધનો એક રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો આજે બીજો રિપોર્ટ નેગેટીવ આવશે તો દર્દીને ડિસ્ચાર્જ કરાશે. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ હજુ પણ ડેન્ટલ હોસ્પિટલમાં જ ક્વૉરંટાઈન છે. એટલુ જ નહિ દર્દીના સાળા અને પત્ની પણ પૉઝિટિવ હોવાથી સારવાર હેઠળ છે.
રાજ્યના પ્રથમ ઓમિક્રૉન વેરિઅન્ટ સંક્રમિત દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવતા હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. આ દર્દી કોરોના સંક્રમિત થયો ત્યારથી એની સ્થિર હતી. ડૉક્ટર્સનુ કહેવુ હતુ કે આ દર્દી કોરોનાના હળવા લક્ષણ હતા. આમ છતાં તેમને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા હતા. તેમનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ઓમિક્રૉન વેરીઅંટનુ સંક્રમણ ફેલાય નહિ તે માટે જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
સોમવારે મહારાષ્ટ્રના લાતૂર અને પૂણેમાં ઓમિક્રૉનનો એક-એક કેસ નોંધાયો. સમગ્ર ભારતમાં ઓમિક્રૉનની સંખ્યાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, કેરળમાં 1, આંધ્ર પ્રદેશમાં 1, દિલ્લીમાં 2 અને ચંદીગઢમાં એક કેસ છે. કોવિડના નવા વેરિઅંટથી ઓમિક્રૉનથી પહેલુ મોત બ્રિટનમાં થયુ છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને પણ આ વાતની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં ઓમિક્રૉનના 633 કેસ નોંધાયા છે. જેઓ સારવાર હેઠળ છે. બ્રિટનના આરોગ્ય સચિવ સાજિદ જાવેદે કહ્યુ કે ઓમિક્રૉન બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લંડનમાં કોરોનાના નવા સંક્રમિત થયેલા લોકોમાં 40 ટકા ઓમિક્રૉન વેરિઅંટની ઝપટમાં આવી રહ્યા છે.