પાક બોટ: ગાંધીનગરમાં ઇમરજન્સી મીટિંગ, સખત બનશે સુરક્ષા
ગાંધીનગર, 3 જાન્યુઆરી: ભારત-પાકિસ્તાનની સમુદ્રી સીમ પર પોરબંદર નજીક પાકિસ્તાની બોટની સંદિગ્ધ હરકત અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પીછો કરવામાં આવતાં પોતાને ધમાકાથી ઉડાવી દિધા બાદ સુરક્ષા એજેંસીઓ એલર્ટ થઇ ગઇ છે. હિન્દી સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે જેમાં એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, નેવી, મરીન પોલીસ અને બીએસએફના અધિકારીઓએ ભાગ લીધો હતો.
સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાની સમુદ્રી સીમા પર નેવી ક્લોકવાઇઝ પેટ્રોલિંગ કરશે. કોસ્ટ ગાર્ડ એંટી ક્લોકવાઇઝ પેટ્રોલિંગ કરશે. સમાચારોના જણાવ્યા અનુસાર એંટી ક્લોકવાઇઝ પેટ્રોલિંગમાં મરીન પોલીસને પણ લગાવવામાં આવશે. આ સાથે જ બીએસએફને પણ હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે મોટા કાર્યક્રમ આયોજિત થવાના છે.
રાજ્યમાં રોકાણ વધારવાના હેતુથી ગાંધીનગરમાં 7 થી 13 જાન્યુઆરી સુધી યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને પ્રવાસી ભારતીય સંમેલનમાં દુનિયાભરના લોકોની સાથે-સાથે ઘણી સંસ્થાઓ ભાગ લેશે. આ આયોજન પર આતંકવાદીઓની પણ નજર હોઇ શકે છે.
ખાસકરીને પોરબંદરમાં પાકિસ્તાની બોટના મુદ્દાથી આ આશંકા વધી ગઇ છે. મીડિયામાં સમાચાર પ્રસારિત થઇ રહ્યાં છે કે નરેન્દ્ર મોદીએ પણ 12 જાન્યુઆરીના રોજ પ્રસ્તાવિત પોતાની પોરબંદર યાત્રા ટાળી દિધી છે.