આણંદ: અમિત શાહના સંબોધન વચ્ચે પાટીદારોના સૂત્રોચ્ચારો
ગુજરાત ગૌરવ યાત્રાના અમિત શાહના સંબોધનમાં પાટીદાર યુવાઓએ વિરોધ નોંધાવતા સૂત્રોચ્ચાર કર્યા
1 ઓક્ટોબર ને રવિવારથી આણંદના કરમસદ ખાતેથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલની જન્મભૂમિથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં આ યાત્રા શરૂ થઇ હતી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે આ યાત્રાનો આરંભ થયો હતો. આ પહેલાં અમિત શાહે કરમસદ ખાતે સભાનું સંબોધન કર્યું હતું. ગુજરત સરકારથી અસંતુષ્ટ પાટીદારોએ આ દરમિયાન ભાજપનો વિરોધ કર્યો હતો, અમિત શાહના સંબોધન દરમિયાન પાટીદાર આંદોલન સાથે જોડાયેલ યુવાઓએ 'જય સરદાર સય પાટીદાર'ના નારા લગાવ્યા હતા. સાથે જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં હંગામો વધતા સુરક્ષાબળ તુરંત એક્શનમાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહેલ યુવાઓને કાર્યક્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલાં રાજ્યની ભાજપ સરકાર પાટીદાર મતદારોને પોતાની તરફ વાળવાના તમામ પ્રયત્નો કરી રહી છે. આ માટે જ થોડા દિવસો પહેલાં ગુજરાત સરકાર અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો અનામત મામલે જ નિર્ણય નહોતો લઇ શકાયો. સરકારે આ બેઠકને સફળ ગણાવી હતી, જ્યારે કેટલાક પાટીદારોએ આ બેઠકને નિષ્ફળ ગણાવી હતી.
જો કે, ભાજપ પાટીદારોને રિઝવવા સારુ તમામ પ્રયત્ન કરી રહ્યું છે. આ માટે જ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી કરવામાં આવ્યો હતો. રાજ્યનો પટેલ સમાજ ભાજપના પારંપરિક મતદારો રહ્યા છે, પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ પરિસ્થિતિ બદલાઇ છે. વળી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન તેમણે પાટીદારો સાથે મુલાકાત કરી હતી, જે સફળ રહી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.