રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ, PM મોદી 10 જૂને લોકાર્પણ કરશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કેટલાક મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
ગાંધીનગર, 8 જૂન, 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કેટલાક મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.
પીએમ મોદી 10 જૂને ઉદઘાટન કરશે
ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે જાણકારી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એ અમારા માટે એક મોટો પડકાર હતો, પરંતુ મને ખુશી છે કે અમારા એન્જિનિયર્સે આ તમામ પડકારોનો સામનો કરીને આ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ એટલે કે 1875 ફીટની ઉંચાઈ સુધી પાણીને પહોંચાડી પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ શક્ય બનશે. વડાપ્રધાન દ્વારા તેના ઉદ્ઘાટન પછી ધરમપુર અને કપરાડા વિસ્તારના 174 ગામડાઓમાં રહેતા 4.50 લાખ લોકોનું જીવન બદલાશે.
એસ્ટોલ પ્રોજેક્ટ શા માટે મહત્વનો?
આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં ન તો વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ન તો ભૂગર્ભજળની પરિસ્થિતિ સારી છે, અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષાઋતુના સમયમાં અહીંના જળાશયોમાં પાણી તો ભરાઈ જાય છે, પરંતુ તે પાણી જમીનની અંદર નથી ઉતરી શકતું. તેના કારણે વર્ષાઋતુના થોડાક સમય પછી જ અહીંના જળાશયો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. વર્ષ 2018માં 586.16 કરોડના ખર્ચે આ પહાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી દરરોજ પીવાનું પાણી પહોંચે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે એસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
શું છે એસ્ટોલ પ્રોજેક્ટ?
મધુબન બંધના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને લિફ્ટ ટેક્નિક દ્વારા લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજના છે. આ પ્રોજેક્ટ હેઠળ 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર છે, જેના દ્વારા દરરોજ લગભગ 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન અને નાની-નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા માટે 340 કિમી લાંબી પાઇપલાઇન નાંખવામાં આવી છે. પીવાના શુદ્ધ પાણીને ઉપલબ્ધ કરાવવા માટે 3.3 કરોડ લીટરની ક્ષમતાના બે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. બન્નેથી કુલ ક્ષમતા પ્રતિદિન 6.6 કરોડ લીટર પાણીની છે. પાણીનો સંગ્રહ કરવા માટે આ વિસ્તારોમાં 6 ઉંચી ટાંકીઓ 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ અને ગામડાઓ તેમજ ફળિયાઓમાં જમીન સ્તરની 1202 ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વિશિષ્ટ ટેક્નિકનો ઉપયોગ કરાયો છે
અહીંની જમીનની રચના અનુસાર જ અહીં પાઇપલાઇન નંખાઈ છે, જે ક્યાંક ઊંચી છે તો ક્યાંક નીચી છે. આ કારણે આ પાઇપોમાં કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય છે, તો કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય કરતા ઘણું વધારે છે. આ દબાણ એટલું વધારે છે કે તેનાથી પાઇપલાઇનોને ઘણું નુકસાન પહોંચી શકે છે. આ તમામ મુશ્કેલીઓના સમાધાન તરીકે મુખ્ય પાઇપની અંદર 12 મિલિમીટર જાડાઈની માઇલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી મુખ્ય પાઇપને ફાટવાથી બચાવી શકાય.
એન્જિનિયરિંગ ક્ષેત્રનો ચમત્કાર
ગુજરાત સરકારનો એસ્ટોલ પ્રોજેક્ટ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કાર સમાન છે. એવું એટલા માટે કહી શકાય કારણ કે આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો એમ કુલ 174 ગામો સુધી પહોંચાડવામાં આવશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ પહેલા આ બંધનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવતો હતો. જો કે, પીવાના પાણીની સાથે-સાથે આ બંધના પાણીનો પહેલાની જેમ જ સિંચાઇ માટે પણ ઉપયોગ કરવાનું ચાલુ રહેશે.