અક્ષરધામના ગર્ભગૃહમાં PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી
પીએમ નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે અક્ષરધામ મંદિરના રજત જયંતિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે 5 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી માત્ર અક્ષરધામ મંદિરની રજત જયંતિના સમારોહમાં ભગ લેવા માટે ગુજરાત પધાર્યા છે અને તેઓ અહીં માત્ર 3 કલાક રોકાનાર છે. એરપોર્ટથી પીએમ મોદી તુરંત રાજભવન જવા રવાના થઇ ગયા હતા. ત્યાંથી તેઓ લગભગ 6.40 વાગે ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે મયુર દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રસંગે હાજર હતા.


અક્ષરધામ મંદિર ખાતે સંતો દ્વારા પીએમ મોદીનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ અહીં તેમણે મહંત સ્વામી સાથે નીલકંઠવર્ણીનો અભિષેક પણ કર્યો હતો. ત્યાર બાદ અક્ષરધામ મંદિરના રજત જયંતિ કાર્યક્રમનો આરંભ થયો હતો. રોશનીથી અક્ષરધામ મંદિર અને મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. બાળકોએ મંચ પર ત્રિરંગો ઊભો કરતાં સુંદર નૃત્ય કર્યું હતું. એ પછી પીએમ મોદીએ અદ્ભૂત લાઇટ અને લેઝર શો સનાતનમ્ નિહાળ્યો હતો.


ત્યાર બાદ ભગવાન શ્રી સ્વામીનારાયણને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે મહંત સ્વામી મહારાજ, પીએમ મોદી, અન્ય સંતો, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. પીએમ મોદી મહંત સ્વામીનો હાથ પકડી તેમને મંચ પરથી દોરી જતા નજરે પડ્યા હતા. પુષ્પાંજલિ બાદ મહંત સ્વામીએ પીએમ મોદીના હાથે કંકણબંધન સૂત્ર બાંધ્યુ હતું. ત્યાર બાદ પીએમ મોદીએ રંગમંચ પર પરત ફરી મંચ પર મુકવામાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી હતી.


અક્ષરધામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી 8 વાગ્યા સુધી હાજરી આપનાર છે. બ્રહ્મ વિહારી સ્વામીના પ્રવચન બાદ પીએમ મોદી પણ કાર્યક્રમમાં ભાષણ આપશે. ત્યાર બાદ મંદિરના પરિસરમાં લેઝર શો નિહાળશે અને પછી મંદિરના ગર્ભગૃહમાં જઇ ભગવાનને પુષ્પાંજલિ કરશે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ગાંધીનગરના અક્ષરધામ મંદિરે પહોંચી ગયા છે.












Click it and Unblock the Notifications
