ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલના 9 ટ્રસ્ટીની પોલીસે ધરપકડ કરી
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલના 9 ટ્રસ્ટીની પોલીસે ધરપકડ કરી
એક તરફ કોરોનાવાયરસે કેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં લાગી રહેલી આગની ઘટનાઓએ દર્દીઓને બંને તરફથી પરેશાન કર્યા છે. ગત 1 મે 2021ના રોજ રાત્રે 12.30 વાગ્યે ભરૂચની પટેલ વેલફેર કોવિડ 19 હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 18 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો ઈલાજ થઈ રહ્યો હતો તે દરમિયાન મધરાત્રે આગ ફાટી નીકળી હતી.
હવે આ મામલે ભરૂચ પોલીસે પટેલ વેલફેર કોવિડ 19 હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી લીધી છે. ઘટના સમયે ભરૂચના એસપી રાજેંદ્ર સિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી.
જણાવી દઈએ કે આગ લાગ્યા બાદ પટેલ વેલફેર કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને બીજા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હવે પોલીસે 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે ઘટના બાદ દુખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર દરેક પીડિત પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે રાજ્યના બે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને, કર્મચારીઓ અને મુખ્ય સચિવ વિપુલ મિત્ર તથા નગરપાલિકા કમિશનર રાજકુમાર બેનિવાલને તાત્કાલિક ભરૂચ પહોંચી કોવિડ કેર સેન્ટરમાં લાગેલી આગ વિશે તપાશ હાથ ધરવા આદેશ આપ્યો હતો. જે અંતર્ગત હવે 9 ટ્ર્સ્ટીની ધરપકડ કરી લેવાઈ છે.