દલિત અત્યાચારઃ અત્યાચાર કરનારા સામે કડક પગલાં લેવા ડીજીપીનો આદેશ
ગુજરાતમાં દલિત ઉત્પિંડનના બનાવો વધી રહ્યા છે. ઉનાકાંડ, રાજકોટ અને બનાસકાંઠાની ઘટનાઓ તાજી છે.
ગુજરાતમાં દલિત ઉત્પિંડનના બનાવો વધી રહ્યા છે. ઉનાકાંડ, રાજકોટ અને બનાસકાંઠાની ઘટનાઓ તાજી છે ત્યાં, મહેસાણા જીલ્લાના બેચરાજીમાં વિઠ્ઠલાપુરના દલિત યુવાનને માર મારનાર અને ઉત્પીડન કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. દલિત યુવકને દરબાર બનવાનો પ્રયાસ કરે છે કહીને ઢોર માર માર્યો હતો. જે ઘટના અંગે રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
પીડિતને બે લાખની સહાય મંજૂર
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદી કે જે આ ઘટનાના પીડિત છે તે મહેસાણા જિલ્લાના વિઠ્ઠલાપુર ગામના રહેવાસી છે. મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા પીડિત પરિવારને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયતાનો ચેક પણ આપવામાં આવ્યો છે અને કેસની ચાર્જશીટ થયા બાદ પીડીતને અન્ય ૧.૫૦ લાખની સહાય ચુકવવામાં આવશે.
જિલ્લા પોલીસ વડાને પગલાં લેવા આદેશ કર્યો
રાજ્ય સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષકને ત્વરીત સૂચનાઓ આપી ભોગ બનનાર પરિવારજનોને સમજાવીને ફરીયાદ આપવા સામેથી તૈયાર કરાયા હતા. પોલીસની દરમિયાનગીરીથી જ પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોને વિશ્વાસમાં લઇ બનાવ સંદર્ભે એટ્રોસીટી એક્ટ, અપહરણ તેમજ આઇ.ટી. એક્ટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરીને ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
બે આરોપીઓની કરી ધરપકડ
રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે, જો ક્યાંય આ પ્રકારની ઘટના ઘટે અને તેના વીડિયો હોય તો તે પોલીસને ફોરવર્ડ કરવામાં આવશે તો તાત્કાલિક પગલા ભરવામાં આવશે. વિઠ્ઠલાપુર ગામના દલિત યુવકને ઢોર માર મારવાના ગુનામાં આરોપીઓ ભરતસિંહ ભીમસિંહ દરબાર, જયદીપ બનેસંગ દરબાર, ચેહરસિંહ સુનસંગ સોલંકી અને યોગેશ્વરસિંહ ઉદેસંગ દરબાર નામના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દલિત વસાહતની લેશે મુલાકાત
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર આ બાબતે ચિંતિત છે અને આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરી રહી છે. અનુસુચિત જાતિના લોકો જ્યાં વસતા હોય ત્યાં પોલીસ વિઝીટનો કાર્યક્રમ કરીને ગામના લોકોને નજીક લાવવામાં આવશે જેથી બનવો અટકાવી શકાય.
સહિષ્ણુતા ફેલાવવા સરકારે પગલાં લેવા જોઇએ
સોશિયલ મીડિયામાં દલિતો સહિતના મુદ્દાના જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે, ખરેખર તો સમગ્ર રાજ્યમાં સહિષ્ણુતા ફેલાય તે દિશામાં રાજય સરકારે પ્રયાસ કરવા જોઈએ તેના બદલે અસહિષ્ણુતા કેમ ફેલાઇ રહી છે. તે પણ એક સવાલ છે. આ કોઇ ખાસ પ્રકારની વિચારધારાના તત્વોને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે. ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આ પ્રકારના વીડિયો વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે ફેલાવ્યા હશે તેમની સામે પણ કાર્યવાહી થશે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ સોંપવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને સમાજ-સમાજ વચ્ચે સમરસતા જળવાઇ રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. સમાજ-સમાજ વચ્ચે વિભાજન કરનાર તત્વો સામે રાજ્ય સરકાર કડક હાથે પગલાં લેશે.
દલિત પરિવારને પોલીસ રક્ષણ આપ્યું
14 જૂનના રોજ દલિત જાતિના યુવાન ઉપર દરબાર જ્ઞાતિના બે યુવાનો દ્વારા ગડદાપાટુ તેમજ ધોકાથી માર મારવાનું, અણછાજતા શબ્દોવાળો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો હતો. આ વીડિયો ધ્યાને આવતાં જ સરકારે ત્વરિત પગલાં લીધાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઘટના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરી તપાસ સત્વરે હાથ ધરવા સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલતાથી લઇને ભોગ બનનાર પરિવારજનોને સંપૂર્ણ પોલીસ રક્ષણ રાજ્ય સરકાર દ્વારા પૂરૂ પડાયું છે.
રૂપાણી ક્યારે લેશે દલિત પરિવારની મુલાકાત ?
આ ઘટના સંદર્ભે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રુપાણી દલિત પીડિતોની મુલકાત લેતા નથી અને જ્યાં સુધી મુખ્યમંત્રી વિજય રુપાણી આ પરિવારની મુલાકાત નહી કરે ત્યાં સુધી તેઓ પોતે પણ આ પીડિત વ્યક્તિના પરિવારોની મુલાકાતે નહી જાય.