11 કલાક પછી બેભાન હાલતમાં મળી આવ્યા પ્રવીણ તોગડિયા, હાર્દિકે કર્યું ટ્વિટ
વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા બેભાન અવસ્થામાં અમદાવાદમાં મળી આવ્યા. જાણો આ અંગે વિગતવાર જાણકારી અહીં. સાથે જ જાણો હવે તેમની સ્થિતિ કેવી છે?
વિશ્વ હિંદુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયા, જે સોમવાર સવારથી ગુમ હતા તે આખરે 11 કલાક પછી બેભાન હાલતમાં મળી આવ્યા છે. જે પછી તેમને શાહીબાગ વિસ્તારના ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુગર ઓછી થઇ જવાના કારણે તે બેભાન થઇ ગયા હોવાની વાત ડોક્ટરોએ જણાવી છે. જો કે સાથે જ ડોક્ટરોએ હાલ તેમની હાલત સારી હોવાની વાત કરી છે. વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે આ મામલે જણાવ્યું છે કે દેશભરના વીએચપીના કાર્યકર્તાઓ તોગડિયાને લઇને ચિંતિત હતા. કોઇને ખબર નથી કે તે ક્યાં ગયા છે. અમે તમામ કાર્યકર્તાઓને શાંતિ રાખવાની અપીલ કરી છે. નોંધનીય છે કે વિશ્વ હિંદુ પરિષદે સોમવારે દાવો કર્યો હતો કે પ્રવીણ તોગડિયા ગુમ થઇ ગયા છે. અને આ અંગે તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યે પોતાના ઘરેથી અડધો કલાકમાં આવવાનું કહીને ગયેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરાષ્ટ્રિય પ્રમુખ પ્રવીણ તોગડિયા ઘરે પરત ફર્યા નહોતા. સવારે 10 વાગ્યાના તેઓ ગુમ હતા. એક તરફ 10 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન પોલીસ તેની ધરપકડ કરીને લઈ ગઈ હોવાની વાત સામે આવી હતી ત્યાં જ અમદાવાદ કે રાજસ્થાન પોલીસે પ્રવીણ તોગડિયાની અટકાયત ન કરી હોવાનું જણાવતા મામલો વધુ ગૂંચવાયો હતો. જો કે રાત્રે 9.30 વાગ્યે તેઓ કોતરપુર વોટર વર્ક્સ પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ડોક્ટરે હાલ પણ તેમની શુગર ઓછી હોવાના કારણે તેમની સ્થિતિ સુધારા પછી છે તેમ જણાવ્યું છે.
શું છે મામલો?
સવારે ડો.પ્રવિણ તોગડિયા કોઈ બે માણસો સાથે રીક્ષામાં ગયા હતા અને સાંજ સુધી પરત ફર્યા નહોતા. જેને પગલે ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમને મોબાઈલ કરતાં તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જે પછી સાંજે વીએચપીના કાર્યકરોએ ભારે ચક્કાજામ કરી સોલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ પાલડીમાં પણ વીએચપીના કાર્યકરોએ ભારે ચક્કાજામ કર્યો હતો અને પોતાના પ્રમુખને શોધી કાઢવા પોલીસ પર દબાણ લાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે ડો. તોગડિયાનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં છેલ્લે નહેરૂનગરનું લોકેશન બતાવતું હતું પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. કોતરપુર પાસેના ચાર રસ્તા પાસેથી અર્ધબેભાન હાલતમાં મળી આવેલા તોગડિયાને રાત્રે 9:30 આસપાસ 108 મારફતે નજીકની શાહીબાગ ખાતેની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું છે કે હજુ 1-2 દિવસ સુધી તેમને આ હાલતમાંથી બહાર આવતા થશે અને ત્યારબાદ ડો.તોગડિયા પોલીસ સામે કંઈક નિવેદન આપી શકશે.
डो.मनमोहनसिंह जी के सरकार में प्रवीण तोगड़िया जी अगर लापता हो जाते तो भाजपा पूरे देश में हिंसा कर देती ।।
— Hardik Patel (@HardikPatel_) January 15, 2018
भक्तों को जो बोलना है वो बोल सकते है क्यूँकि इस मुद्दे पर अगर नहीं बोले तो साहब तनख़्वाह नहीं देंगे !!!
હાર્દિક પટેલની ટ્વિટ
બીજી તરફ પ્રવીણ તોગડિયા મળી આવતા મોટી સંખ્યામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ હોસ્પિટલના ફરતે ભેગા થવા લાગ્યા છે. વધુમાં કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી સુત્રોચ્ચાર શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે હાર્દિક પટેલ પણ ટ્વિટ કરીને અનેક સવાલ કર્યા છે. હાર્દિકે કહ્યું છે કે ઝેડ પ્લસ સિક્યોરિટી પછી પણ કોઇ માણસ ગુમ કેમ થઇ શકે, ગૃહમંત્રી શું કરી રહ્યા છે. સાથે જ કહ્યું કે મનમોહન સિંહ સરકારમાં આવું થયું હોત તો ભાજપે ભારતને માથે લીધું હોત.