કૃષિમંત્રી રાઘવજી પટેલે પદભાર સંભાળ્યા બાદ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક કરી
ગુજરાતના નવ નિયુક્ત કૃષિમંત્રી રાઘવજી પટેલે પદભાર સંભાળીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સમિક્ષા બેઠક અધિકારીઓ સાથે કરી હતી. આ સાથે તેમાના દ્વારા અગ્રેસર ગુજરાતની નેમને સાકાર કરવા માટે અગ્રેસર એગ્રીકલ્ચરને પ્રાધાન્ય આપવા
પદભાર સંભાળ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની અવિરત વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવાના સંકલ્પ સાથે ''અગ્રેસર ગુજરાત''ના સંકલ્પને સાકાર કરવા ''અગ્રેસર એગ્રીકલ્ચર''ને પ્રાધાન્ય અપાશે. સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલે તેમના વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને અગ્રેસર ગુજરાતના નિર્માણને વેગવાન બનાવવા જરૂરી સુચનાઓ આપી હતી.
તેમણે કૃષિ વિભાગને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી તે માટેનું તાત્કાલિક આયોજન થાય અને ત્વરિત અમલવારી માટે તેમજ ખેડૂત અકસ્માત વીમા યોજનાની સહાયમાં વધારો, કાંટાળી તારની વાડની યોજનામાં ક્લસ્ટરના ધોરણમાં સુધારો વગેરેની બાબતે ખૂબ જ વિસ્તૃત વિચારણા હાથ ધરીને જરૂરી બજેટ રજૂ કરવા સંબંધીતોને સૂચના આપી હતી. ડુંગળીના પ્રવર્તમાન બજાર ભાવ આધારિત સમીક્ષા કરવામાં આવી અને સંબંધિત વિભાગ આ બાબતે સતત મોનિટરિંગ કરી અને યોગ્ય સમયે જરૂરી અમલવારી કરવા સૂચના આપી હતી.
મંત્રી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં "પશુપાલન અને ગૌસંવર્ધન"ક્ષેત્રે થઈ રહેલ કામગીરીને વેગ આપવા માટે પશુપાલન અને ગૌસંવર્ધન સચિવ , પશુપાલન નિયામક અને પશુપાલન ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે થઈ રહેલ તાંત્રિક અને યોજનાકીય કામગીરીની સમીક્ષા હાથ ધરી જરૂરી બાકી લક્ષ્યાંક વર્ષાંતે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી એવી "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના"ના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ વધુ સંકલન કરી વધુમાં વધુ ગૌશાળા અને પાંજરાપોળ લાભાન્વિત થાય તે દિશામાં કામગીરી કરવા અને ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશના રખડતા પશુઓના નિભાવ માટે સહાયની યોજનાનું અમલીકરણ વધુ વેગવંતુ બનાવવા માર્ગદર્શન આપ્યુ હતુ.
મંત્રીએ ઉમેર્યુ કે રાજ્યમાં પશુ ચિકિત્સા સેવાના માળખાને સુદ્રઢ બનાવવા માટે માળખાગત સુવિધા વિકસાવવા તેમજ રાજ્યની ગૌશાળા-પાંજરાપોળને માળખાકીય રીતે અધ્યતન અને મજબુત બનાવવા માટેના કાર્યક્રમો અમલમાં મુકવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરી હતી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન ક્ષેત્રે આગામી ૧૦૦ દિવસ માટે થઈ શકે તેવી કામગીરીનું આગોતરૂ આયોજન કરવા માટે પણ મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.