જંબુસરમાં રાહુલ ગાંધી, GST અને નોટબંધી મુદ્દે કર્યા પ્રહારો
રાહુલ ગાંધીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસમાં આજે તેમણે જંબુસરમાં સભાને સંબોધી હતી. જેમા રાહુલે મોદી સરકારને જીએસટી અને નોટબંધીના મુદ્દા પર ફરી બાનમાં લીધી હતી. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકારને જીએસટી તથા નોટબંધી બાબતે ઘેરી હતી અને કહ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણના ખાનગીકરણથી માંડીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સામે નાગરિકો રોષમાં છે. ગુજરાતમાં તો ઉદ્યોગપતિઓની સરકાર ચાલે છે, તેમ કહેવું ખોટું નથી. નવસર્જન યાત્રા દરમિયાન જનસભા સંબોધતા તેમણે આગળ કહ્યું હતું કે, વિજય માલ્યા બહાર ઇંગ્લેન્ડમાં બેઠા મજા માણી રહ્યાં છે. ગુજરાતમાં પણ માત્ર 5-10 ઉદ્યોગપતિઓ ખુશ છે અને તેઓ કોઇ ફરિયાદ નથી કરી રહ્યાં, મોદીજીનું સમર્થન કરી રહ્યાં છે. ગુજરાત અને સમગ્ર ભારતમાં દુઃખ અને ગુસ્સો ફેલાયેલો છે. આખો દેશ જાણે છે કે, 8 નવેમ્બરના રોજ મોદીજીએ ખૂબ મોટી ભૂલ કરી, પંરતુ તેઓ પોતે આ વાત માનવા તૈયાર નથી. દરેક વેપારી કહેશે કે, ભારતમાં વેપારી સુગમતા નથી. નોટબંધી અને જીએસટીએ વિનાશ નોતર્યો છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, મોદીજીએ મેક ઇન ઇન્ડિયાની વાત કરી, પરંતુ આજે ગુજરાતમાં 30 લાખ યુવાઓ બેરોજગાર છે. તમે અહીં સેલ્ફીનું એક બટન ક્લિક કરો છો, એ સાથે જ ચીનમાં એક યુવાને રોજગાર મળે છે. જે પણ વેચાય છે, એની પાછળ મેડ ઇન ચાઇન લખેલું દેખાય છે. ચીનમાં રોજ 50 હજાર યુવાઓને રોજગાર મળે છે, આપણા દેશમાં મોદીજીનું મેક ઇન ઇન્ડિયા 450 યુવાઓને રોજગાર આપે છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે રાહુલ ગાંધી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે તેમને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. બુધવારે રાહુલ ગાંધી જબંસુરથી પ્રવાસની શરૂઆત કરશે અને ત્રણ દિવસ દરમિયાન રેલી, સભા અને બેઠકોનો દોર ચાલશે. રાહુલ ગાંધી જ્યારે પાદરા પહોંચ્યા ત્યારે અલ્પેશ ઠાકોરન હાજરીમાં ઠાકોર સેનાએ પણ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાના 25 જેટલા વિધાનસભા ક્ષેત્રો આવરી લેવાનું આયોજન છે.