ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ; ભારે વરસાદની આગાહી
અમદાવાદ, 11 મે : અમદાવાદ સહિત આજે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં બપોરની કાળઝાળ ગરમી બાદ સાંજે વંટોળ ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પડયા હતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ પડવાના કારણે પાકને વ્યાપક નુકસાન થવાની દહેશત ઉભી થઇ ગઇ છે.
ગુજરાતમાં 15 દિવસ પહેલા જ કેટલાક ભાગોમાં વાવાઝોડુ ફુંકાયું હતુ અને વરસાદ પણ પડયો હતો જેના લીધે ભારે નુકસાન થયું હતું. હવામાનની આ પ્રકારની સ્થિતિના કારણે તંત્ર ભારે ચિંતાતુર બની ગયું છે.
રાજ્યના હવામાન અંગે પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પૈકી રાજકોટમાં પવન સાથે વરસાદ તુટી પડયો હતો. અમરેલીના લાઠીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. સાવરકુંડલાના દોલતીમાં પવન સાથે વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીંતી ઉભી થઇ ગઇ છે.
અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 39.9 ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં એકાએક ફરીવાર ઘટાડો થયો છે. તાજેતરમાં જ પારો 44 સુધી પહોંચી ગયો હતો પરંતુ આજે તાપમાનમાં ફરી ઘટાડો થયો હતો.
આજે રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન વલ્લભ વિધ્યાનગરમાં 42 ડિગ્રી થયું હતું. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે રાજ્યમાં હિટવેવની કોઇપણ ચેતવણી નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા ગાજવીજ સાથે પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.