રામનવમી હિંસાઃ હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો, 25થી વધુ ઘાયલ, એકનુ મોત
રાજ્યમાં બે જગ્યાએ રામનવમીના પ્રસંગે શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં એક વ્યક્તિનુ મોત નીપજ્યુ.
અમદાવાદઃ રાજ્યમાં બે જગ્યાએ રામનવમીના પ્રસંગે શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં હિંમતનગર અને આણંદના ખંભાતમાં અમુક અસામાજિક તત્વોએ પત્થરમારો કર્યો હતો. બનાવની વિગત એવી છે કે ગઈકાલે રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને આણંદના ખંભાતમાં રથયાત્રા પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. હિંમતનગરમાં ટોળાને કાબુમાં લેવા માટે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ બંને ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા હતા જ્યારે એકનુ મોત નીપજ્યુ હતુ.
ઉશ્કેરાયેલા ટોળાએ બંને શહેરોમાં દુકાનો અને વાહનો સળગાવ્યા હતા. હિંમતનગરમાં જિલ્લા પોલિસ વડા સહિત 3 પોલિસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને શહેરોમાં પોલિસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બપોરે ત્રણેક વાગે કેટલાક લોકોએ પત્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયુ હતુ. ટાવર બજાર વિસ્તારમાં દોડધામ મચી ગઈ અને 5 જેટલી દુકાનોમાં તોડફોડ કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં 7થી 8 લોકોને ઈજા થઈ હતી. જેમાં એક આધેડને માથામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પેટલાદ લઈ જવામાં આવ્યા હતા. જો કે, રસ્તામાં જ તેમનુ મોત નીપજ્યુ હતુ. બીજી તરફ સ્થિતિ વધુ તંગ બનતા અંતે પોલિસે સ્થિતિને કાબુમાં લેવા 5થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને અનેક લોકોની અટકાયત કરી હતી.
બીજી તરફ, હિમતનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બપોરના 2 વાગે શહેરના છાપરીયા વિસ્તારમાંથી શોભાયાત્ર પસાર થઈ રહી હતી એ વખતે અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવા માટે પત્થરમારો કરાયો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પોલિસ પર પણ હુમલો કરવામાં આવ્યો. ટોળાએ પોલિસના 2 વાહનો સહિત 5 જેટલા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. જ્યારે અમુક લોકોએ 7થી 8 દુકાનોને સળગાવી દીધી હતી. લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
હિંમતનગરમાં વિહિપ દ્વારા બીજી પણ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેનો રૂટ પણ છાપરીયા વિસ્તાર જ હોવાથી પોલિસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા પસાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, અહીં ફરીથી અચાનક પત્થરમારો શરૂ થઈ જતા તંગદિલી સર્જાઈ હતી જેમાં જિલ્લા પોલિસ વડા વિશાલ વાઘેલાને પણ ઈજાઓ થઈ હતી. પોલિસે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીએ સઘન બંદોબસ્ત યથાવત રાખવા અને જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.